ભરૂચ : ભરૂચની ભૂમિ ચૌહાણ જો 10 મિનિટ મોડી ન હોત તો અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI-171માં સવાર થઈ હોત. પરંતુ મોડા પડવાના કારણે ભૂમિનો જીવ બચી ગયો. તેણે કહ્યું કે, હું અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટમાં ચઢવાની હતી. પરંતુ ટ્રાફિક જામમાં ફસાઈ જવાને કારણે તે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચી અને સુરક્ષા કર્મચારીઓએ મને અંદર જવા દીધી નહીં.
ભૂમિએ કહ્યું, ‘મારી ફ્લાઇટનો સમય બપોરે 1:10 વાગ્યાનો હતો અને મારે 12:10 વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું હતું. રસ્તામાં ઘણો ટ્રાફિક હતો, તેથી હું એરપોર્ટ પહોંચી ત્યારે 12:20 વાગ્યા હતા. હું ચેક-ઇન કરી શકી નહીં અને સુરક્ષા કર્મચારીઓએ મને પાછા જવાનું કહ્યું. તેથી હું મારી ફ્લાઇટ ચૂકી ગઈ. શરૂઆતમાં હું વિચારી રહી હતી કે જો હું થોડી વહેલી આવી હોત તો નુકસાન ન થયું હોત અને હું ફ્લાઇટ પકડી શકી હોત. પરંતુ હવે મને લાગે છે કે જે કંઈ થયું તે સારા માટે થયું.’
ભૂમિએ અકસ્માત વિશે કહ્યું, ‘હું એરપોર્ટથી ઘરે પરત ફરી રહી હતી, પછી રસ્તામાં મને ખબર પડી કે હું જે ફ્લાઇટમાં ચઢવા જઈ રહી હતી તે ક્રેશ થઈ ગઈ છે. મારું શરીર ખરેખર ધ્રૂજી રહ્યું હતું. હું બોલી શકતી ન હતી. જે બન્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મને લાગ્યું કે મેં કોઈ સારા કાર્યો કર્યા હશે જેના કારણે હું મારી ફ્લાઇટ ચૂકી ગઈ અને મારો જીવ બચી ગયો. પરંતુ અન્ય લોકો સાથે જે બન્યું તે ખૂબ જ ભયાનક ઘટના છે. ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના આત્માને શાંતિ આપે.’