: પોલીસે સુનીતા જામગડે સામે જાસૂસીનો ગુનો નોંધ્યો છે
: કારગિલ સરહદેથી પાકિસ્તાનમાં ઘૂસેલી સુનિતાની મોબાઈલની આ એપ્લીકેશન સ્પાયવેર હોઈ શકે તેવી શક્યતાના આધારે તપાસ
મુંબઇ – નાગપુરથી કાશ્મીર- કારગિલ માર્ગે પાકિસ્તાનમાં ઘુસી ગયેલી સુનીતા જામગડેના મોબાઇલ ફોનમાં પોલીસને બે પાકિસ્તાની એપ (શંકાસ્પદ સ્પાયવેર) મળી આવી હતી. ગયા મહિને પાકિસ્તાન ગયા બાદ તેને પાછી સ્વદેશ મોકલી આપવામાં આવી હતી. જામગડેની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનુસાર ૪૩ વર્ષની સુનીતાના પાકિસ્તાનમાં પ્રવેશવાના કૃત્યથી સુરક્ષાની ચિંતાઓ ઉભી થઇ છે તેથી એજન્સીઓ સંભવિત જાસૂસી લિંક્સની તપાસ કરી રહી છે.
આ સંદર્ભે નાગપુરના કબિલનગર પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને તેના ફોનમા અનેક શંકાસ્પદ એપ્લિકેશનો મળી આવી છે. જે સ્પાયવેર હોવાની શંકા છે. એપ્લિકેશનનો હેતુ અને મૂળ નક્કી કરવા તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એજન્સીઓએ અ તપાસ કરી રહી છે કે શું તેના કોઇ અન્ય સાથીદારો હતા જેમણે તેને પાકિસ્તાનના પ્રવેશ માટે અને ત્યાં જવા મદદ કરી હતી. આ તમામ પાછળ સુનીતાનો શું હેતુ હતો અને તેના ચેટ્સ સહિતની તમામ વિગતો ફોરેન્સિક તપાસ બાદ બહાર આવશે.
સુનીતા કારગિલના હુંડરમન ગામથી ગેરકાયદે પાકિસ્તાનમાં પ્રવેશી હતી. તે ૪મેના રોજ તેના ૧૩ વર્ષના પુત્રને લઇ નાગપુરથી કારગિલ પહોંચી હતી. જ્યાંથી તે ૧૪મેના પાકિસ્તાનમાં પ્રવેશી હતી. એલઓસી પાર કરતા પહેલા તેણે કથિત રીતે તેના પુત્રને એક હોટલમાં છોડી દીધો હતો. સરહદ પાર કર્યા બાદ પાકિસ્તાની દળોએ તેને પકડી લીધી હતી. અને થોડા દિવસ બાદ ભારતીય અધિકારીઓને સત્તાવાર રીતે સોંપવામાં આવી હતી. જો કે આ દરમિયાન પાકિસ્તાની દળોએ તેને કસ્ટડીમાં રાખી હતી.
પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે જામગડે ગુમ થયા પહેલા બે પાકિસ્તાની નાગરિકો જેમની ઓળખ ઝુલ્ફીકાર અને પાસ્તર તરીકે થઇ છે તેમના સંપર્કમાં આવી હતી અમૃતસર પોલીસે ઝીરો એફઆઇઆર નોંધી બાદમાં નાગપુરના કપિલનગર પોલીસને ટ્રાન્સફર કરી હતી જે તે રહે છે.