મહારાષ્ટ્રના ધુલીયાથી ચાર દિવસ અગાઉ કામધંધો કરવા સુરત આવેલા અને ચાર વર્ષ જૂની મિત્રના પાંડેસરા પુનીતનગર સ્થિત ઘરે રોકાયેલા 27 વર્ષના યુવાનની તેની સ્ત્રીમિત્રના પતિએ અનૈતિક સંબંધની શંકામાં ગતરાત્રે પોતાના 15 વર્ષના પુત્રની નજર સામે જ ઘાતકી હત્યા કરી હતી.પાંડેસરા પોલીસે બનાવની જાણ થતા હત્યાનો ગુનો નોંધી સ્ત્રીમિત્રના પતિની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના ધુલીયાના વરખેડી ગામનો વતની 27 વર્ષીય સાગર રામદાસ શેળકેએ વર્ષ 2023 માં સુરતની નંદની સાથે પ્રેમલગ્ન કર્યા હતા.જોકે, 13 મહિના બાદ બંને વચ્ચે મનમેળ નહીં થતા નંદની સુરતમાં ફોઈના ઘરે રહેવા ચાલી ગઈ હતી.ધુલીયામાં ટાઈલ્સ ફીટીંગનું કામ કરતો સાગર ચાર દિવસ અગાઉ સુરત કામધંધો કરવા માટે આવ્યો હતો.દરમિયાન, આજે મળસ્કે તેના મોબાઈલ ફોનથી વંદના નામની મહિલાએ તેના મોટાભાઈ રાકેશને ફોન કરી જાણ કરી હતી કે સાગરનો એકસીડન્ટ થયો છે.તેને નવી સીવીલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમ્યાન તે મરણ પામ્યો છે.તેથી તમે સુરત આવો.રાકેશભાઈએ સુરતમાં રહેતા ગામના એક વ્યક્તિએ ફોન કરી તપાસ કરવા કહેતા તે નવી સિવિલ ખાતે ગયા હતા અને તેમણે બાદમાં ફોન કરી જાણ કરી હતી કે સાગરનું મોત એક્સીડન્ટમાં નથી થયું પણ વંદનાના પતિએ તેની ચપ્પુ મારીને હત્યા કરી છે.
આથી રાકેશભાઈ સુરત દોડી આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલ પહોંચી જોયું તો તેના ભાઈને છાતી પર જમણી બાજુ તથા જમણા હાથના બગલના નીચેના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા હતા.બાદમાં તે પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાં વંદના મળી હતી.વંદનાને પૂછતાં જાણ થઈ હતી કે તે ધુલીયાની જ છે અને ચાર વર્ષ અગાઉ તે એક દવાખાનામાં ઝાડુપોતા કરતી હતી ત્યારે ત્યાં સાગર લેબ ટેકનીશીયન તરીકે બ્લડ ટેસ્ટ કરવાના સેમ્પલો લેવા અને તેનો રીપોર્ટ આપવા માટે આવતો જતો હતો.તે સમયે બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને વાતો કરતા હતા.બાદમાં વંદના સુરત આવી ગઈ હતી છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા.ચાર દિવસ અગાઉ સાગરે તેને ફોન કરી સુરત આવવાનો છું કહી ઘરનું સરનામું લીધું હતું અને બીજા દિવસે સાંજે તે તેના પાંડેસરા પુનિતનગર પ્લોટ નં.386-387 ના પહેલા માળે ઘરે આવ્યો હતો.જોકે, સાગર જ્યારથી ત્યાં આવ્યો હતો ત્યારથી વંદનાના પતિ નરેન્દ્ર ગણપત માલી વંદના ઉપર શંકા રાખતા હતા કે તેના સાગર સાથે અનૈતીક સંબંધ છે અને વંદનાએ જ સાગરને સુરત બોલાવ્યો છે.તેમણે ધમકી પણ આપી હતી કે તેને તેના ઘરે મોકલી આપ.જો તુ નહી મોકલે તો હું તેને મારી નાખીશ.આથી વંદનાએ ગતરોજ સાગર માટે ઘર નજીક જ ભાડાની રૂમ શોધી હતી.ગતરાત્રે 9.30 વાગ્યે સાગર કામ પરથી વંદનાના ઘરે આવ્યો હતો અને જમીને વંદના, તેનો પતિ અને તેમનો 15 વર્ષનો પુત્ર ભૂષણ એક જ રૂમમાં સુઈ ગયા હતા.રાત્રે એક વાગ્યે સાગરની બૂમો સંભળાતા તમામ જાગી ગયા હતા.ત્યારે નરેન્દ્ર સાગરને ચપ્પુ મારતો હતો અને તેને લોહી નીકળતું હતું.સાગરને સારવાર માટે નવી સિવિલ લઈ ગયા હતા.પણ તેનું મોત નીપજતાં પાંડેસરા પોલીસે રાકેશની ફરિયાદના આધારે નરેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બાદમાં તેની ધરપકડ કરી હતી.વધુ તપાસ પીઆઈ એસ.જી.ચાવડા કરી રહ્યા છે.