Manish Kashyap BJP resignation: બિહાર ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રખ્યાત યુટ્યુબર અને ભાજપ નેતા મનીષ કશ્યપે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કશ્યપે ફેસબુક પર લાઈવ થઈને રાજીનામાની જાહેરાત કરી હતી. તેઓ 25 એપ્રિલ 2024 ના રોજ પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પૂર્વ નેતાએ કહ્યું કે, ‘હું હવે ભાજપનો સક્રિય સભ્ય નથી. જો હું ભાજપમાં રહીને મારી જાતને બચાવી ન શકું, તો હું લોકોને કેવી રીતે મદદ કરીશ? હું મારા ગામમાં ગયો હતો અને ત્યાંના લોકો સાથે વાત કરી હતી, ત્યારબાદ મેં આ નિર્ણય લીધો છે. મારે બિહાર અને બિહારીઓ માટે લડવું પડશે.’
મનીષ કશ્યપે રાજીનામા પર શું કહ્યું?
મનીષ કશ્યપે વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે હું પાર્ટીમાં રહીને લોકોનો અવાજ ઉઠાવી શકીશ નહીં. આવી સ્થિતિમાં મેં આ નિર્ણય લીધો છે. કેટલાક નેતાઓએ મારા પર મહત્ત્વાકાંક્ષી હોવાનો આરોપ લગાવ્યો. હું એક પ્લેટફોર્મ શોધી રહ્યો છું. તમે લોકો મને કહો કે મારી પોતાની પાર્ટી બનાવવી કે નહીં. જોકે, હું એ સ્થિતિમાં નથી. મારે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી જોઈએ, એકલા કે કોઈની સાથે?’
બીજેપી નેતા પર સાધ્યું નિશાન
યુટ્યુબર મનીષ કશ્યપે ભાજપ નેતાઓનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યું કે, ‘અહીં રહેવાનો અર્થ એ છે કે ભ્રષ્ટાચાર જોયા પછી પણ તમે આંખો બંધ રાખો છો. હું બિહારના લોકોના જીવ બચાવવા માટે ઉભો છું. મારી લડાઈ આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે છે.’
તાજેતરમાં પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મનીષ કશ્યપને માર મારવામાં આવ્યો હતો. આ પછી, કોઈ પણ ભાજપ નેતાએ તેમના ખબરઅંતર પૂછ્યા નહીં. આનાથી નારાજ થઈને તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.