– આરસીબી ટીમ વિજયી થતાં સ્ટેડિયમમાં 3 લાખની મેદની ઉમટી
– વિજય પરેડ રદ થતાં ‘માનવ મેદની’નું ધસમસતું પૂર સ્ટેડિયમમાં પહોંચતા ભારે અંધાધૂંધી : ધક્કામુક્કીમાં મૃત્યુ પામેલાઓને 10 લાખ રૂપિયાનાં વળતરની અને મેજિસ્ટ્રેટ તપાસની સીએમ સિદ્ધારામૈયાની જાહેરાત
– આરસીબીનું ટ્વિટર હેન્ડલ સાંજે પાંચ વાગે વિધાનસભાથી સ્ટેડિયમ સુધી વિજયી પરેડ થશે તેમ બતાવતું હતું
– બેંગલુરુની ટ્રાફિક પોલીસનો દાવો : અમને આરસીબીની વિજય પરેડ યોજવા અંગે કોઈપણ સૂચના આપવામાં આવી નહોતી
બેંગાલુરુ : રોયલ ચેલેન્જ બેંગ્લુરુની વિક્ટરી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક અચાનક ભાગદોડ મચતા ૧૧ના કચડાઈના કચડાઈને મોત થયા છે અને ૫૦ જેટલા લોકો ઇજા પામ્યા છે. સ્ટેડિયમની બહાર આરસીબીના કેટલાય પ્રશંસક બેહોશ થઈ ગયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ભેગા કરવા એમ્બ્યુલન્સ મોકલવામાં આવી અને કેટલાય લોકોએ એકબીજાની મદદ કરી. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે માંડ ૩૫થી ૪૦ હજારની ક્ષમતા ધરાવતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેથી ત્રણ લાખ લોકો આવી ગયા હતા. અમને કલ્પના પણ ન હતી કે આટલી ભીડ આવી શકે. હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને ભીડ નિરંકુશ થતાં આ ઘટના બની હતી. ઇજાગ્રસ્તોમાં કેટલાયની હાલત ગંભીર છે.
આ દુર્ઘટના અંગે કહેવામાં આવે છે કે સ્ટેડિયમમાં એક જ દરવાજો હતો અને આ દરવાજો ટોળાએ તોડી નાખ્યો હતો, તેના કારણે ભાગદોડ મચી જતા આ દુર્ઘટના થઈ હતી. પહેલા આરસીબીની ટીમ વિધાનસભા પહોંચી હતી અને તે સમયે વિધાનસભાની બહાર પણ એક લાખ લોકોની ભીડ હતી.
આ સિવાય આરસીબીની ટીમને વિક્ટરી પરેડને લઈને અસમંજસભરી સ્થિતિ હતી. આરસીબીનું ટ્વિટર હેન્ડલ પાંચ વાગ્યાથી વિક્ટરી પરેડ વિધાનસભાથી ખુલ્લી બસમાં શરુ થશે તેમ બતાવતું હતું. જ્યારે સરકાર અને ટ્રાફિક પોલીસની એડવાઇઝરી તેમ કહેતી હતી કે આવું કશું નથી. તેના પછી ટીમ સીએમ સિદ્ધારામૈયાને મળીને બંધ બસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગઈ હતી. જ્યારે લોકો વિજયી ખેલાડીઓને જોવા માટે આતુર હતા.
સીએમ સિદ્ધારામૈયાએ આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો યુવાન છે. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ તેમના હાલચાલ પૂછ્યા હતા. તેની સાથે મૃત્યુ પામેલાઓ માટે દસ-દસ લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી હતી. કર્ણાટક પોલીસે સ્ટેડિયમની બહાર ઊભેલી ભીડને નિયંત્રિત કરવા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. વડાપ્રધાન મોદીએ પણ બેંગલુરુની ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ બનાવને લઈ વિપક્ષ ભાજપના નેતાએ સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. સરકારે ભીડને અંકુશમાં રાખવા માટે પૂરતી વ્યવસ્થા જ ગોઠવી ન હતી. કર્ણાટક સરકારે આ પહેલાં સુરક્ષાના કારણોસર વિધાનસભાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધીની વિજય પરેડ રદ કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ મંગળવાર રાતથી જ વિજયના ઉન્માદમાં આવેલી ભીડને નિયંત્રિત કરી રહ્યા છે.