Porbandar News: પોરબંદરના રાણાવાવ ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટ થયા હતા. તે રિસામણે આવી ત્યારે તેના પતિએ બીજા નિકાહ કર્યાનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં મૂકતા તેણે આપઘાત કરી લીધો હતો. આ મામલે યુવતીના પરિવારે પુત્રીને મરવા માટે મજબૂર કર્યાની સાસુએ જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે મામલો
રાણાવાવની કસ્બાતી જમાતખાના પાછળ રહેતા રજાક મુલ્લાના પત્ની ખેરુનબેન દ્વારા રાણાવાવ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેની પુત્રી મેમુદાના લગ્ન રાજકોટના ભાવનગર રોડ પર રહેતા સમીર જુણેજા સાથે થયા હતા. એક વર્ષ સુધી સારી રીતે ઘરસંસાર ચાલ્યા પછી સમીર દારૂના રવાડે ચઢી ગયો હતો. તે દારૂ પીને મેમુદાને અવારનવાર ઘરકામ કરવા બાબતે અને શારિરીક માનસિક દુ:ખ ત્રાસ આપતો હતો અને મારકૂટ પણ કરતો હતો. તેથી છ મહિના પહેલા મેમુદા પીયરીયે રીસામણે આવી હતી અને ભરણ પોષણનો કેસ દાખલ કર્યો હતો.
આ દરમિયાન 17મી મેના રોજ ખેરુનબેન રાજકોટ હતા ત્યારે દીકરી મેમુદાનો ફોન આવ્યો હતો અને તેમણે રડતા રડતા કહ્યું કે, ‘મમ્મી, મારા પતિ સમીરે બીજા નિકાહ કરી લીધા છે, જેનો વીડિયો મેં અત્યારે ઈન્સ્ટાગ્રામમાં જોયો છે. સમીરે મારી જિંદગી બગાડી નાખી છે. હું કોઈપણ રીતે તેને છૂટાછેડા આપવા માંગતી નથી. પરંતુ હવે સમીરે બીજા લગ્ન કર્યા હોવાથી મારે મરવાનો વારો આવ્યો છે હું મરી જઈશ’
આ પ્રકારની દીકરીની વાત સાંભળીને માતાએ પુત્રીને સમજાવી હતી, પરંતુ ત્યારબાદ મેમુદાએ ઝેરી દવા પી લીધી હતી અને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, ત્યાં પાંચ દિવસની સારવાર બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી પુત્રીને મરવા મજબૂર કરનાર જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.