Surat : સુરતમાં હાલ કમૌસમી વરસાદ વરસી રહ્યો છે અને સત્તાવાર વરસાદની ગણતરી થઈ રહી છે ત્યારે શહેરની અનેક સોસાયટીમાં ડ્રેનેજ અને રસ્તાની કામગીરી ચાલી રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે સુરતની સંખ્યાબંધ સોસાયટીના લોકોની હાલત કફોડી થઈ રહી છે. ડ્રેનેજની અધૂરી કામગીરી અને હાલ પડી રહેલા વરસાદના કારણે સોસાયટીના રસ્તા કાદવીયા બન્યા છે અને લોકોને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. પાલિકાએ લોકોની ફરિયાદ નહી સાંભળતા સોસાયટીના રહીશો ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરિયાદ કરી રહ્યાં છે.
સુરત પાલિકાના કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીને કારણે ચોમાસા પહેલાં સુરતના અનેક સોસાયટીના રસ્તા કાદવીયા બન્યા છે. પાલિકાએ દિવાળી બાદ અનેક સોસાયટીના રસ્તા-ડ્રેનેજના કામનું ખાત મુર્હૂત કર્યા હતા અને હાલ કામ ચાલી રહ્યાં છે પરંતુ કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનના કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે.
પાલિકાના કતારગામ ઝોનમાં સીંગણપોર વિસ્તારમાં કૃષ્ણનગરમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે પંરતુ ગોકળગાયની ગતિએ આ કામ ચાલે છે અને યોગ્ય કામગીરી થતી ન હોવાથી હાલ આ સોસાયટીના લોકો નર્કાગારમાં જીવતા હોય તેવી હાલત છે. ડ્રેનેજનું કામ અધુરુ છે અને ડ્રેનેજનું કામ બાદ મેટલ ગ્રાઉન્ડીંગ કર્યું નથી. હાલ વરસાદ પડી રહ્યો છે તેના કારણે રસ્તાઓ પર કાદવના થર થઈ ગયા છે લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. લોકો વાહન લઈ નિકળે તો વાહન સ્લીપ થઈ રહ્યાં છે આવી સ્થિતિમાં લોકોની હાલત કફોડી થઈ રહી છે.
આગામી દિવસમાં સ્કુલ શરુ થઈ રહી છે ત્યારે બાળકોને સ્કૂલે મુકવા જવા પણ મુશ્કેલી પડે તેમ હોવાથી સંખ્યાબંધ મહિલાઓ કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીયાને રજુઆત કરવા આવ્યા હતા. તેઓએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, પાલિકા અને કોન્ટ્રાક્ટરોને અનેક ફરિયાદ કરી છે તેમ છતાં સમસ્યાનો હલ થતો નથી. ધારાસભ્યએ પાલિકાના અધિકારીઓને સૂચના આપીને સમસ્યા ગણતરીના દિવસોમાં પુરી થાય તેમ કહ્યું છે.
આ તો સિંગાપોરની એક સોસાયટીની ફરિયાદ હતી પરંતુ કતારગામ ઝોન જ નહી પરંતુ શહેરના તમામ વિસ્તારમાં જે સોસાયટીઓમાં ડ્રેનેજના કામ ચાલી રહ્યાં છે તેમાંથી મોટાભાગની સોસાયટીઓમાં આવી હાલત છે અને આગામી દિવસોમાં વરસાદ શરૂ થયા બાદ સોસાયટીની હાલત વધુ કફોડી થાય તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.