અમદાવાદ: ગુજરાતમાં એક્સિડેન્ટલ મોતને કારણે અનેક લોકો મોતને ભેટતા હોવાની ઘટનાઓ સામે આવે છે. જેમાં ઉંચા ઝાડ પરથી પડવું કે પછી વીજતારને ભૂલથી અડક્વું, દિવાલ ધરાશાયી થવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે અમદાવાદની નારોલની ફેક્ટરીમાં છતના પતરા રીપેરિંગ કરવા આવેલા શ્રમિકનું પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલની એક ફેક્ટરીમાં છત પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રાજ ટીમ્બર માર્ટની છત પર એક શ્રમિક પતરા રિપેરિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક છતના પતરા રિપેર કરતા પતરુ તૂટી પડ્યું અને સંતુલન ગુમાવતા શ્રમિક આકાશ ચુનારા નીચે પટકાયો હતો. છત પરથી નીચે પટકાતા શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ફેક્ટરીમાં કામ કરતા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.
ડોક્ટરે શ્રમિકને મૃત જાહેર કર્યો
નારોલના રાજ ટીમ્બર માર્ટની છત પરથી સવારે 11 વાગ્યે શ્રમિક પટકાયોની ઘટના બની હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ શ્રમિકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. તો વલસાડમાં પણ આવી એક દુ:ખદ ઘટના બની હતી. જેમાં કચરાના ટ્રેકટર નીચે જોળીમાં રાખેલા બાળક નીચે પટકાયું હતું. ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવતી વખતે જોળીમાંથી બાળક નીચે પટકાતા મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી.