અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટના બાદ રાહત, બચાવ અને તપાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાની તપાસ ઝડપી અને સરળતાથી થાય તે માટે ઘટનાસ્થળને સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યું છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા લોકોને ક્રેશ સાઇટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે રાજ્યના ગૃહમંત્રીએ ઘટનાસ્થળેથી મળેલા મૃતકોના સામાનને કાળજીપૂર્વક તેમના પરિવારજનોને પરત કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

ગુજરાતના DGPએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, “બચાવ અને રાહત કાર્યમાં તાત્કાલિક જોડાઈને મદદ કરનાર તમામ સ્થાનિક રહેવાસીઓ અને સ્વયંસેવકોનો અમે આભારી છીએ. છેલ્લા બે દિવસથી, તપાસના હેતુથી પુરાવા એકત્રિત કરવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન અને સીલ કરવામાં આવ્યો છે. અમે સૌને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને ક્રેશ સાઇટ નજીક ન જાવ.”
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલા નિવેદનને ટેગ કરીને જણાવ્યું છે કે, “ક્રેશ સાઇટ પરથી મળેલા મૃતકોના સામાનને કાળજીપૂર્વક એકત્રિત કરી તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે અને સંબંધિત પરિવારોને સોંપવામાં આવશે. અમારી ટીમ લોકોની વસ્તુઓ શોધવા અને ઓળખવા માટે કામ કરી રહી છે. અમે નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે સંકલન કરી રહ્યા છીએ જેથી પ્રક્રિયા સરળતાથી પાર પડે. અમે આ વસ્તુઓના ભાવનાત્મક મહત્વને સમજીએ છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેને પરિવારોને પરત કરવા માટે પ્રતિબદ્ધ છીએ,” તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું.