અમદાવાદ : અમદાવાદમાં મેઘાણીનગર ખાતે હોસ્ટેલ પર થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. જે બાદ સમગ્ર દેશ અને રાજ્ય શોકમાં ડૂબી ગયું છે.અનેક નેતાઓ અને મંત્રીઓએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ત્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની PM મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ મુલાકાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અમદાવાદ વિમાન દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, તો બીજી તરફ અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ ઘટનાસ્થળે મુલાકાત લીધી અને પ્લેન ક્રેશ ઘટનાના દર્દીઓ સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે વિમાન દુર્ઘટનાગ્રસ્તની લીધી મુલાકાત
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અસારવા સિવિલ હોસ્પિટલે પહોંચી વિમાન દુર્ઘટાનામાં ઘાયલ દર્દીઓ સાથે મુલાકાત કરી. મલ્લિકાર્જુન ખડગેએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારોને મળ્યા હતા. વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મલ્લિકાર્જુન ખડગે વિમાન દુર્ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે, આ ખૂબ મોટી દુર્ઘટના અમદાવાદમાં ઘટી છે. આ ઘટના અમદાવાદના ઇતિહાસમાં કોઈ ભૂલશે નહીં, આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ લોકોને હું શ્રધાંજલિ અર્પણ કરું છું…જે બચી ગયેલ વ્યક્તિ છે તે ચમત્કાર છે અને મોટી વાત છે. આ ઘડીમાં લોકોએ એક થઈને કામ કરવું જોઈએ…આ સમયમાં કોઈએ ક્રેડિટ લેવા ન જવું જોઈએ…
પંજાબના ફાઝલકા જિલ્લાના ભાજપ અધ્યક્ષે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પરભારી વિજય રૂપાણીનું નિધન થયું છે. પંજાબના ફાઝલકા જિલ્લાના ભાજપ અધ્યક્ષ સુખવિંદરસિંહ કાકા કંબોજે વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી. સુખવિંદર સિંહે કહ્યું કે, આજના રાજકારણમાં આવા નરમ સ્વભાવના માણસો ઓછા હોય છે. વિજય રૂપાણીએ પંજાબના દરેક જિલ્લા અને તાલુકામાં જઈ બેઠક કરી હતી તેઓ પંજાબને દિલથી ચાહતા હતા’
લલિત કગથરાએ વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી. લલિત કગથરાએ કહ્યું પ્લેન ક્રેશની ઘટના કઠણ કાળજાને પણ કંપાવનારી છે. દુર્ઘટનામાં ગુજરાતના પનોતા પુત્ર અને મારા નેતાજી વિજયભાઈ એ જીવ ગુમાવ્યો છે. હું રાજકોટ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતો અને વિજયભાઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતા. મારા પુત્રના અવસાન સમયે વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં મારા ઘરે 2 કલાક બેસી મને સાંત્વના આપી. આજે મેં અંજલિબેન અને તેમના પુત્રને મળી મારી સંવેદના વ્યક્ત કરી.
દિલ્હીના પૂર્વ CM આતિશી માર્લેના અમદાવાદની મુલાકાતે
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ ઘટનાસ્થળે મુલાકાત લીધી અને પ્લેન ક્રેશ ઘટનાના દર્દીઓ સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી.પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ઘટના વિશે માહિતી મેળવી દુઃખ અને સંવેદના વ્યક્ત કરી. ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન પર પણ દુઃખ વ્યક્ત કર્યું.
IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો છે… IMAના ચેરમેને પત્ર લખી કહ્યું કે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અને અન્ય જે ઘાયલ થયા છે તેમને પણ નાણાકીય સહાય આપવા માટે માગ કરી છે…IMAએ કહ્યું બધા મુસાફરો માટે 1 કરોડ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. તેથી વિનંતી કરીએ છીએ કે તેઓ ડોકટરો અને હોસ્ટેલની આસપાસના લોકોને 1 કરોડ રૂપિયા આપે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજું જો કોઈ વિદ્યાર્થી કે રહેવાસી ઘાયલ કે અપંગ હોય, તો સર્વે કર્યા પછી તેમના માટે પણ પેકેજની જાહેરાત કરવી કરે.