દેશના દક્ષિણી રાજ્ય કેરળમાં શનિવારે ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે ભારતમાં છેલ્લા ૧૬ વર્ષમાં પહેલી વખત ચોમાસાનું આગમન આઠ દિવસ વહેલા ૨૪ મેના રોજ થયું છે, જેના પગલે કેરળના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડયો છે. આગામી કેટલાક દિવસ સુધી કેરળ સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં સાનુકૂળ કુદરતી પરિબળોના કારણે કેરળની સાથે કર્ણાટકમાં પણ આજે જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે દેશમાં ૧ જૂને કેરળના સમુદ્રકાંઠે ચોમાસુ પહોંચતુ હોય છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.નવીદિલ્હી સ્થિત હવામાન વિભાગના મુખ્યાલયમાં હવામાનની રાષ્ટ્રીય સ્તરની આગાહી વિભાગના વડા ડો. આર.જે. જેનામણીએ ગુજરાત સમાચારને માહિતી આપી હતી કે આજે ૨૦૨૫ની ૨૪, મેએ નૈઋત્યનું ચોમાસુ આખા લક્ષદ્વિપ, માલદીવ અને કન્યાકુમારીના બાકીના ભાગ, કેરળ, તામિલનાડુ, બંગાળના ઉપસાગરના નૈઋત્ય અને પૂર્વ-મધ્ય ભાગ, મિઝોરમના અમુક ભાગ, કર્ણાટકના અમુક હિસ્સા,અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સા તથા પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય ભાગમાં પણ આગળ વધ્યું છે. નૈઋત્યના ચોમાસાની નોર્ધન લિમિટ (ઉત્તરીય રેખા) હાલ કારવાર (કર્ણાટક), શિમોગા, ધરમપુર, ચેન્નાઇ, સાઇહા પરથી પસાર થઇ રહી છે.
ડો. આર.જે. જેનામણીએ બહુ મહત્વના પરિબળની માહિતી આપતાં ગુજરાત સમાચારને કહ્યું છે કે ૨૦૨૫માં ચોમાસાનું કેરળમાં આગમન તેની કુદરતી પરંપરાની ૧,જૂનની તારીખ કરતાં આઠ દિવસ વહેલું થયું છે. આ પહેલાં વર્ષ ૨૦૦૯માં કેરળમાં ચોમાસાનું આગમન એક સપ્તાહ વહેલા ૨૩,મેએ થયું હતું. ૨૦૨૫ના ચોમાસાનાં કુદરતી પરિબળો હાલના તબક્કે સંપૂર્ણપણે સાનુકુળ છે. એટલે કે હાલ આંદામાન સમુદ્ર,નિકોબાર ટાપુઓમાં મૂશળધાર વરસાદ, પવનની દિશા બદલાઇને નૈઋત્યની બની ગઇ, પવનની ગતિ, સમુદ્રમાંનો કરન્ટ,વરસાદી વાદળો બનવાની કુદરતી પ્રકિયા વગેરે પ્રાકૃતિક પરિબળો સંપૂર્ણપણે સાનુકુળ રહ્યાં છે.પરિણામે ૨૦૨૫ની વર્ષા ઋતુનું આગમન આજે ૨૪,મે એ કેરળ સહિત કર્ણાટકમાં પણ એક સાથે થયું છે. આ સમગ્ર પરિસ્થિતિ અને કુદરતી પરિબળો ચોમાસાનાં મિજાજાની દ્રષ્ટિએ બહુ તીવ્ર અને સંપૂર્ણ સાનુકુળ કહેવાય. હવામાનશાસ્ત્રની ભાષામાં કહીએ તો ૨૦૨૫ની વર્ષા ઋતુ લોન્ગ જમ્પ મારીને ૮૦ ડિગ્રી સુધી પહોંચી ગઇ છે.
અમારા સતત નિરીક્ષણ મુજબ હાલના તબક્કે કુદરતી પરિબળો એટલાં બધાં સાનુકુળ બની રહ્યાં છે કે મેઘરાજાની સવારી આવતા બેથી ત્રણ દિવસ દરમિયાન અરબી સમુદ્રના મધ્ય હિસ્સામાં, આખા ગોવામાં, મહારાષ્ટ્રના અમુક ભાગમાં (દક્ષિણ મહારાષ્ટ્રનાં રત્નાગિરિ, સિંધુદુર્ગ), આંધ્ર પ્રદેશ,તામિલનાડુ, બંગાળના ઉપસાગરના પશ્ચિમ-મધ્ય અને ઉત્તર હિસ્સામાં અને સિક્કિમના કેટલાક ભાગમાં પણ આગળ વધે તેવી શક્યતા છે. આ જ સાનુકુળ કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને ચોમાસાનું આગમન મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ થોડું વહેલું થાય તેવી પૂરી સંભાવના છે.
બીજીબાજુ હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને માહિતી આપી કે હાલ મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણના રત્નાગિરિના અરબી સમુદ્રમાં પહેલાં લો -પ્રેશર(હવાના હળવા દબાણનું કેન્દ્ર) અને હવે ડિપ્રેશન સર્જાયું છે. આ બંને કુદરતી પરિબળની ભારે વેધક અને સાનુકુળ અસરથી નૈઋત્યના ચોમાસાને કેરળ સુધી વહેલા આવવામાં ઘણી મદદ મળી છે.હજી પણ આ જ પ્રાકૃતિક પરિબળો આજ રીતે સાનુકુળ રહેશે તો મેઘરાજા ગોવા થઇને આવતા બેથી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણના વેંગુર્લા (સિંધુદુર્ગ જિલ્લો) સુધી આવી પહોંચે તેવી સંભાવના છે. જોકે લોે-પ્રેશર અને ડિપ્રેશનના કારણે દક્ષિણ કોંકણના આકાશમાં સર્જાયલો વાદળોનો વિશાળ જમઘટ પણ દૂર થવો જરૂરી છે.