ભાવનગર : ગુજરાતમાં વરસાદી નક્ષત્રો આદ્રાથી હસ્ત સુધીના ગણાય છે. આગામી ૨૨ જુને સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે અને જૈન સમાજ ૨૨ જુનથી કેરીનો ત્યાગ કરશે. આ વર્ષે સોળ આનીથી વધુ એટલે કે, ૧૧૦ ટકા વરસાદ પડશે. એટલુ જ નહિ આ વર્ષે ચોમાસમાં પણ વરસાદની શક્યતા છે.
જયોતિષશાસ્ત્રીના જણાવ્યાનુંસાર, દર વર્ષે સૂર્ય ૨૧ કે ૨૨મી જૂને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ વર્ષે આગામી તા.૨૨ને રવિવારે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં સવારે ૬ કલાક અને ૫ મિનિટે પ્રવેશ થશે. તે સમયની કુંડલીના આધારે લગ્નમાં સૂર્ય, બુધ, ગુરૂ અને લાભસ્થાને ચંદ્ર છે જે સારા વરસાદના સંકેત આપે છે.જૂનમાં શરૂઆતમાં વરસાદ પડયા બાદ થોડા દિવસો કોરાધાકોડ રહેશે. પછી ૧૫ થી ૩૧ જુલાઈ દરમિયાન ભારે વરસાદ અને વિરામ બાદ ફરી ૧૫ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે. ચોમાસાની વિદાય ટાણે ૨૭ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર સુધી વરસાદના યોગો છે. પાંચમાં નોરતેથી શરદપૂનમ સુધી ભારે વરસાદના યોગ છે.ઉપરાંત, નવરાત્રિમાં માતાનું વાહન, હોળીની ઝાળ, અખાત્રિજનો પવન વિગેરેના આધારે આ વર્ષે ભરપૂર વરસાદના યોગો છે.આ વર્ષે તા.૬ જૂને ભીમ અગીયારસ આવે છે. સામાન્ય રીતે આદ્રા નક્ષત્ર આસપાસ ભીમ અગીયારસ આવે છે આ વર્ષે ચોમાસુ વહેલુ હોવાથી મૃગશિર્ષ નક્ષત્ર ૮ જૂને બેસે છે, તેનીે આસપાસ સારા વરસાદની શકયતા છે.આ વર્ષે ભીમ અગીયારસ કે પૂનમે વાવણા થઈ જશે. નક્ષત્રોના વાહનો જળ, વાયુ, અનાજ વગેરેના આધારે આ વર્ષે સોળ આનીથી વધુ સારા વરસાદની સાથે આગોતરો અને પાછોતરો વરસાદ પણ સારો હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.