Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલે બપોરે ગરીબ પરિવારનું ઝુંપડું સળગાવી દેતા ચાર બાળકોના જન્મના દાખલા સહિતના દસ્તાવેજો અને રોકડ ખાક થયા હતા.
ભંગારનો ધંધો કરતા પ્રતાપ દેવીપુજકે પોલીસને કહ્યું છે કે, હું મારા ચાર સંતાન અને પત્ની સાથે ગોરવા પંચવટીમાં સોનિયા નગરની સામેના પ્લોટમાં ઝુંપડું બાંધી રહું છું. ગઈકાલે બપોરે હું પરિવાર સાથે ચાની લારીએ ચા પીવા માટે ગયો હતો. તે દરમિયાન કારમાં જીગ્નેશભાઈ મહેતા અને અન્ય બે જણા આવ્યા હતા.
જીગ્નેશ ભાઈએ મને કહ્યું કે તારું ઝુંપડું સળગાવી દીધું છે, સામાન બચાવવો હોય તો બચાવી લે. જેથી હું દોડતો ઝુંપડા તરફ ગયો ત્યારે ઝુંપડું આખું બળીને ખાક થઈ ગયું હતું. ઝૂંપડામાં એક થેલામાં મેં મારા ચાર બાળકોના જન્મના દાખલા,આધારકાર્ડ અને રોકડા રૂ.50000 મુકેલા હતા. જે થેલો પણ આગમાં ખાક થઈ ગયો હતો.
ગોરવા પોલીસે આ બનાવ અંગે પંચવટી સોસાયટીમાં રહેતા જીગ્નેશ શશીકાંતભાઈ મહેતા અને અન્ય બે જણા સામે ગુનો નોંધ્યો છે.