ડભોઈ બજારમાં નળિયા મળતા બંધ થઈ જતાં લોખંડના પતરા ગરીબ વર્ગને મોંઘા પડે છે. ડભોઈ માં ચોમાસા પૂર્વે છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો.
સામાન્ય રીતે માલેતુજાર લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે. જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય તેથી જેવું બહાર ચોમાસુ તેવું જ ઘરની અંદર પણ ચોમાસુ થઈ જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રીપેરીંગ કરતા હોય છે. અથવા જરૂરી પતરા બદલી કાઢતા હોય છે. પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે જેઓ પતરા રિપેર કરાવી શક્તા નથી કે પતરા બદલી શકતા નથી.

એવા ગરીબ વર્ગના લોકો પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ, જે પ્લાસ્ટિકની સાઈઝો માં આવે છે તે નાખી વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે. પહેલાના સમયમાં છાપરાઓ ઉપર નળિયા નાખવામાં આવતા હતા. જે ચોમાસા પૂર્વે ચારી દેવામાં આવતા, જરૂરી નળિયા બદલી કાઢવામાં આવતા, જેનાથી ચોમાસા પૂર્વેની તૈયારી થઈ જતી હતી. પરંતુ હવે નળિયા જ બજારમાં બંધ થઈ ગયા છે. ત્યારે લોખંડના તેમજ સિમેન્ટના પતરા જ મળે છે. જે ગરીબ વર્ગને મોંઘા પડે છે. ત્યારે આવો વર્ગ પોતાની જર્જરીત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટી નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે..
_ફકીરા ખત્રી ડભોઈ