તળાજાના સરતાનપર રોડ, લાધવાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક મકાનો આવેલા છે. અહીંના રહેવાસીઓે પાલિકાને વેરો ભરતા હોવા છતાં પણ પાયાની સુવિધા સમાન સ્ટ્રીટલાઈટ અને ગટરની સુવિધા ન હોવાથી લોકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે વોર્ડ નં.૨ના નગરસેવકે ન.પા.ના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી સ્ટ્રીટલાઈટ, ગટર લાઈન સહિતની સુવિધાઓ આપવાની માંગ કરી છે. હાલ વરસાદી માહોલના કારણે પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગચાળો વકરવાની દહેશત ઉભી થઈ છે. ઉલ્લેખનિય છે કે, કોઈપણ સોસાયટીનું નિર્માણ થાય ત્યારે બિલ્ડર દ્વારા નળ, ગટર, લાઈટ, રોડની સુવિધા આપવાની શરતો સાથે મંજૂરી મળતી હોય છે. ત્યારે અહીં લાઈટ, ગટર કનેક્શન ન હોવા છતાં પણ કોની મંજૂરીથી મકાનો બની ગયા, આ સોસાયટી મંજૂરી વિના બની છે કે કેમ ? તે પણ એક તપાસનો વિષય બન્યો છે. વધુમાં ન.પા. દ્વારા નિયામાનુસારના કામ ન થયા હોવા છતાં કમ્પ્લિકેશન સર્ટી. આપવામાં આવ્યા હોવા બાબતે પ્રાદેશિક નિયામક કચેરી તરફથી તપાસ ચાલી રહી છે. તેની વચ્ચે જ આખી સોસાયટીને પાયાની સુવિધા ન મળતી હોવાનું કોંગ્રેસના નગરસેવકે રજૂઆત કરતા ન.પા. તંત્ર સામે ફરી સવાલ ઉભા થયા છે.