– લાંબા ગાળે લોકો આવી વાતો યાદ રાખતા નથી
– દિલજીત દોસાંજના જવાથી ફિલ્મ અટકી નહિ પડે, કાસ્ટિંગમાં આવા ફેરફારો તો થયા કરે
મુંબઇ : દિલજીત દોસાજે ‘નો એન્ટ્રી ટૂ’ છોડી દેતાં તેનાથી ફિલ્મને કોઈ ફરક નહીં પડે એમ ફિલ્મ સર્જક અનીસ બઝમીએ જણાવ્યું છે.
બઝમીએ કહ્યું હતું કે દિલજીતના જવાથી ફિલ્મ અટકી પડી નથી. કાસ્ટિંગમાં આવા ફેરફારો તો થયા કરતા હોય છે. લાંબા ગાળે કોઈ ફિલ્મમાં મૂળ કલાકાર કોણ હતું અને તેની જગ્યાએ કોણે રોલ ભજવ્યો તે યાદ રાખતા પણ નથી. વાસ્તવમાં મોટાભાગની ફિલ્મોમાં લોકો પડદા પર જે કલાકારને જુએ છે તેને બદલે અન્ય કલાકારને કલ્પી પણ શકતા નથી.
તેણે કહ્યું હતું કે દર વખતે પહેલીવાર જે કાસ્ટ પસંદ કરી હોય તેનાથી જ ફિલ્મ બને તેવું હોતું નથી. મારી કારકિર્દીમાં આવું અનેક વખત બન્યું છે.
ઉલ્લેખનીય છે કે દિલજીતને ફિલ્મ સાઈન કરતી વખતે જે સ્ક્રિપ્ટ બતાવાઈ હતી તેમાં બાદમાં અનેક ફેરફારો થતાં દિલજીતે આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. હાલ આ ફિલ્મના હિરો તરીકે અર્જૂન કપૂર અને વરુણ ધવન જ કન્ફર્મ છે.