Imran Khan : પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઈમરાને કહ્યું કે, ‘મુનીરે ફક્ત રાજકીય નહીં, પરંતુ વ્યક્તિગત દુશ્મનીના કારણે મારી પત્ની બુશરા બીબીને નિશાનો બનાવી હતી.’
ઈમરાન ખાનના મુનીર પર ગંભીર આરોપ
ઈમરાન ખાને સોમવારે (બીજી જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા જનરલ મુનીરની કથિત બદલાની ભાવનાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ‘જ્યારે હું વડાપ્રધાન હતો અને મેં જનરલ આસિમ મુનીરને ઇન્ટર સર્વિસેઝ ઇન્ટેલિજન્સ (ISI)ના ડિરેક્ટર જનરલ પદથી દૂર કર્યા તો તેમણે મારી પત્ની બુશરા બીબીસ સાથે આ મુદ્દે વાતચીત કરવા માટે અમુક માધ્યમો દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, બુશરા બીબીએ સ્પષ્ટ રૂપે ઈનકાર કરી દીધો અને કહ્યું કે, તે આ મામલે સામેલ નથી અને કોઈને નહીં મળે.’
બદલાની ભાવનાથી કરાઈ પરેશાન
ઈમરાન ખાનનું કહેવું હતું કે, અહીંથી જનરલ મુનીરની મારા પ્રતિ નારાજગી શરૂ કરી. જનરલ આસિમ મુનીરની આ બદલાની ભાવનાના કારણે બુશરા બીબીને 14 મહિનાની અન્યાયપૂર્ણ કેદ અને અમાનવીય વ્યવહારનો સામનો કરવો પડ્યો.
મારી પત્નીને પણ ન મળવા દીધો
આ વિશે વધુમાં ઈમરાન ખાને લખ્યું કે, ‘જે પ્રકારે મારી પત્નીને વ્યક્તિગત બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવી, આવું પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારે નથી થયું. આવું તો તાનાશાહી વખતે પણ નહતું. મારા પર એવા આરોપો લગાવવામાં આવ્યા, જેનો આજસુધી પુરાવો નથી મળ્યો. મારા પર જૂઠા આરોપો લગાવીને અનેકવાર ધરપકડ કરવામાં આવી. આ એક ઘરેલું મિહિલા છે, જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મને છેલ્લાં ચાર અઠવાડિયાથી મને મારી પત્નીને મળવાની મંજૂરી પણ નહતી આપવામાં આવી. જેલના નિયમો અનુસાર, મારી મુલાકાત 1 જૂને નક્કી કરી હતી, પરંતુ કોર્ટના આદેશ છતાં તે મુલાકાત રોકી દેવામાં આવી હતી.’
પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફને ખતમ કરવાનું કાવતરૂ
ઈમરાને 9 મે, 2023ની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે, જે દિવસે પાકિસ્તાનમાં સૈન્ય ઠેકાણા પર હુમલા થયા, તે એક પૂર્વનિયોજિત કાવતરૂ હતું. આ બધું ‘લંડન પ્લાન’નો ભાગ હતો, જેનો હેતુ ફક્ત પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (PTI)ને ખતમ કરવાનો હતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ કાવતરા હેઠળ મને, મારી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને ગેરકાદે રૂપે જેલમાં પૂરી દીધા. ચૂંટણી જનાદેશને ચોરવામાં આવ્યો અને શરીફ અને જરદારી જેવા ભ્રષ્ટ લોકોને દેશ પર થોપી દેવામાં આવ્યો હતો.