સુરતના પરવત ગામ નારાયણનગર ખાડી બ્રિજ પાસે આજે સવારે ઈ-મોપેડ ઉપર જતા યાર્નના વેપારી ઉપર ધોળે દિવસે કોઈકે પાછળથી ફાયરીંગ કરતા તેમને ગોળી પીઠમાં વાગી હતી અને અંદર ઘુસી ગઈ હતી.પીઠ ઉપર સુતળી બોમ્બ ફૂટે તેવો અવાજ આવતા ગભરાયેલા વેપારીએ મોપેડ સાઈડમાં ઉભું રાખી પીઠ પર હાથ લગાવતા લોહી લાગતા કારખાનાના બે કર્મચારીને જાણ કરતા તેમને હોસ્પિટલ ખસેડયા હતા.બનાવની જાણ થતા દોડી ગયેલી ગોડાદરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે 10 જુદીજુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી સાંગાડેરીના વતની અને સુરતમાં વરાછા યોગીચોક સાવલીયા સર્કલ પાસે કૃષ્ણકુંજ સોસાયટી ઘર નં.7 માં પત્ની અને બાળકી સાથે રહેતા 40 વર્ષીય સંજયભાઈ જગનભાઈ પડસાળા લીંબાયત નારાયણનગર સોસાયટી ખાતા નં.12,13 અને 14 માં શ્રી ભકિત એન્ટરપ્રાઇઝના નામે યાર્નનું કારખાનું ધરાવે છે.રોજ સવારે 10 વાગ્યે ઘરેથી કારખાને જતા સંજયભાઈ આજે પણ નિત્યક્રમ મુજબ પોતાના ઈ-મોપેડ ઉપર ઘરેથી નીકળ્યા હતા.તે પરવત ગામ નારાયણનગર ખાડી બ્રિજ પાસે અંજનીનંદન પ્રોજેક્ટ સામેથી પસાર થતા હતા ત્યારે પીઠ ઉપર સુતળી બોમ્બ ફૂટે તેવો અવાજ આવતા ગભરાયેલા સંજયભાઈએ મોપેડ સાઈડમાં ઉભું રાખી પીઠ પર હાથ લગાવતા ત્યાં કાણું હતું અને લોહી લાગતા તેમણે કારખાનાના બે કર્મચારી પિયુષભાઈ અને તેજશભાઈને ફોન કરી બોલાવ્યા હતા.બનાવને પગલે લોકો પણ એકત્ર થતા કોઈકે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.તેમના બે કર્મચારી આવતા તેમને 108 માં પહેલા વિનસ હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરોએ ગોળી તેમની પીઠમાં ઘુસી ગયાનું જણાવતા તેમના મોટા ભાઈ વસંતભાઈને જાણ કરાઈ હતી.તે તેમને વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેમના ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા દોડી ગયેલી ગોડાદરા પોલીસે ઘટના સ્થળેથી ફાયરીંગ કરનારની વિગતો મેળવવા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તેની તપાસ શરૂ કરી હતી.પોલીસે સંજયભાઈ અને તેમના પરિજનોની પુછપરછ કરી ફાયરીંગ કેમ કરવામાં આવ્યું તે જાણવા કવાયત હાથ ધરી હતી.ગોડાદરા પોલીસે વસંતભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે 10 જુદીજુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.