PM Modi Jammu Kashmir Visit : જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (6 જૂન) રિયાસી જિલ્લા સ્થિત ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું ઉદઘાટન કર્યું છે. આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટનો સૌથી મહત્ત્વનો ભાગ છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘આપણો અંજી બ્રિજ એન્જિનિયરિંગનો સૌથી સર્વશ્રેષ્ઠ નમૂનો છે. આ બ્રિજ દેશનો પ્રથમ કેબલ-સપોર્ટેડ બ્રિજ છે. આ બંને પુલ ફક્ત ઇંટો, સિમેન્ટ, સ્ટીલ અને લોખંડથી બનેલા બાંધકામો નથી, પરંતુ પીર પંજાલની દુર્ગમ પહાડો પર ઉભેલા ભારતની શક્તિનું જીવંત પ્રતીક છે.
PM મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ રેલવે બ્રિજ અને જમ્મુ-કાશ્મીરના મહત્ત્વના પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યા બાદ સંબોધન કર્યુંહ તું. આ દરમિયાન તેમણે પહલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી કહ્યું કે, ‘પાકિસ્તાને કાયરતાપૂર્વકનો આ હુમલો કરીને માત્ર માનવતા જ નહીં, કાશ્મીરીયત પર પણ વાર કર્યો છે. પાકિસ્તાનની ઈચ્છા ભારતમાં અશાંતિ ફેલાવવાની અને રમખાણો કરવાની હતી. તેણે કાશ્મીરના ગરીબોની રોજી-રોટી છિનવી લેવા માટે આપણા દેશના પ્રવાસ ઉદ્યોગને નબળો પાડવા માંગે છે. આતંકવાદીઓએ આદિલ નામના એક સ્થાનીક વ્યક્તિની પણ હત્યા કરી છે. આ યુવક પરિવાર માટે મહેનત કરતો હતો. આ હત્યા તે વાતનું પ્રમાણ છે કે, આતંકવાદ માત્ર નિર્દોષોને નિશાન બનાવે છે.’
વડાપ્રધાન ઓપરેશન સિંદૂર વિશે શું બોલ્યા ?
તેમણે કહ્યું કે, આજની તારીખ 6 જૂન આપણને તે ઐતિહાસિક રાતની યાદ અપાવે છે જ્યારે ભારતે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે, ‘યાદ રાખજો, છ મેની રાત્રે શું થયું હતું. હવે જ્યારે પણ પાકિસ્તાન ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની શક્તિ યાદ આવી જશે. તેણે ક્યારે વિચાર્યું ન હતું કે, ભારત તેના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાનો સફાયો કરશે. વિશ્વભરના લોકોએ જોયું કે, પાકિસ્તાને મંદિરો, મસ્જિદો અને શાળાઓ પર કેવી રીતે ગોળીબાર કર્યો.’
વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચી ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે. ચિનાબ બ્રિજ અને અંજી પુલના કારણે મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.