E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeBreaking Newsભિવંડીના પડઘા- બોરીવલીમાં એટીએસના દરોડાઃ ૧૨ની અટકાયત

ભિવંડીના પડઘા- બોરીવલીમાં એટીએસના દરોડાઃ ૧૨ની અટકાયત

વહેલી પરોઢના અંધારામાં ૨૦૦નો પોલીસ કાફલો ત્રાટક્યો

આતંકી હુમલાના પ્લાનિંગની આશંકાઃ સિમીના ભૂતપૂર્વ પદાધિકારી- સભ્યો સાકિબનાચન સહિત બે ડઝન ઘરોમાં સર્ચ ઓપરેશન ઃઅનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા

મુંબઈ – આતંકવાદી પ્રવૃત્તિઓની શંકાને લીધે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડ  (એટીએસ)ની ટીમે ભિવંડીના પડઘા અને બોરીવલી ગામમાં દરોડા પાડયા હતા. આતંકવાદી સંબંધિત કેસમાં ૧૨ લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. એમાં સિમીના કેટલાક ભૂતપૂર્વ પદાધિકારીઓ, સભ્યો સાકિબ નાચન સહિત અન્યનો સમાવેશ છે. પોલીસના કાફલાએ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદી ગતિવિધિ  સંબંધિત સામગ્રી અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

એક  અધિકારીએ જણાવ્યું હતું કે એન્ટી ટેરરિઝમ સ્કવૉડની થાણે યુનિટે થાણે ગ્રામિણ પોલીસની મદદથી મુંબઇને અડીને આળેલા ભિવંડીના પડઘા અને બોરીવલી ગામોમાં આજે સવારે લગભગ ૪.૦૦ વાગ્યાથી દરોડા પાડયા હતા. આ કાર્યવાહીમાં ૨૦૦થી વધુ એટીએસ કર્મચારીઓ  ઉપરાંત આજુબાજુના પોલીસ મથકોના પોલીસ જવાનો સામેલ હતા.  આથી સંપૂર્ણ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. બંને ગામોમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

અધિકારીએ ઉમેર્યું હતું કે પડઘા ખાતે રવિવારે રાતે જ એટીએસ અને થાણે ગ્રામિણ પોલીસની ટીમ જમા થઇ ગઇ હતી. એટીએસએ દરોડા દરમિયાન મોબાઇલ હેન્ડસેટ, તલવાર, ચાકૂ, પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો, આતંકવાદ પ્રવૃત્તિ માટે વપરાતી સામગ્રી, યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે વપરાતા દસ્તાવેજો તેમજ કેટલાક ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.

એટીએસના એક નિવેદનમાં જણાવાયું છે કે પહેલ ગામમાં  પર્યટકો  પર ટેરરિસ્ટ એટેકના પગલે આતંકવાદી ગતિવિધિ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડી શકે તેવા રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કડક પગલાં લેવાની જરૃર હતી. ભિવંડીના પડઘા- બોરીવલીમાંથી અગાઉ વિવિધ આતંકવાદી મોડયુલમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાથી એટીએશની ટીમે ત્યાની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી.

એટીએસ પાસે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે પ્રતિબંધિત સંગઠન સિમીના ભૂતપૂર્વ પદાધિકારી સાકીબ નાચન અને તેના સાથીઓએ ગામના લોકોને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બ્રેઇન વોશ કરી ઉશ્કેર્યા હતા. એટીએસને હાલમાં એવી જાણ થઇ હતી કે નાચનના ગુ્રપના સહયોગીઓ ફરી સક્રિય થયા છે. અને તેઓ આતંકવાદી એટેક કરે તેવી શક્યતા છે તે મુજબ એટીએસ થાણે યુનિટે પડઘા ગામમાં શંકાસ્પદોના ઘરમાં તપાસ કરવા માટે કોર્ટ પાસેથી વોરંટ મેળવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે એટીએસની ટીમે પ્રતિબંધિત સ્ટુડન્ટસ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમી)ના ભૂતપૂર્વ પદાધિકારીઓ અને સભ્યો સાકીબ નાચન, આકીબ સાકીબ નાચન, અબ્દુલ લતીફ કાસકર, કૈફ નાચન, શાજીલ નાચન સહિત લગભગ બે ડઝન  ઘરો અને પરિસરની તપાસ કરી હતી. બ્રોકર અને સિમીના ભૂતપૂર્વ સભ્ય ફારાક ઝુબૈર મુલ્લા (ઉં.વ.૬૦)ના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે સાઉદી અરેબિયામાં હજ પર ગયો હોવાનું  બહાર આવ્યું હતું. તેનો મોટોભાઇ હસીબ ઝુબૈર મુલ્લા વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩ના મુંબઇ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં આરોપી હતી. હસીબે ૧૦ વર્ષની સજા ભોગવી હતી. ૯ ડિસેમ્બર, ૨૦૨૩થી તે આઇએસઆઇએસ મોડયુલ કેસમાં સાકીબ નાચન સાથે  દિલ્હીની જેલમાં છે.

આ ઉપરાંત ૨૭ વર્ષીય અબ્દુલ લતીફ કાસકરના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. તે એક ગોદામમાં કામ કરે છે તે ફરહાન સુસેનો નજીકનો મિત્ર છે. જેના સિક્યુરિટી એજન્સીઓ દ્વારા દિલ્હીમાં આઇએસઆઇએસ  મોડયુલ કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે આ  કાર્યવાહી વખતે છ વ્યક્તિ તેમના નિવાસસ્થાને મળ્યા ન  હોતા. આજે બપોર સુધી દરોડા ચાલુ રહ્યા હતા અને શંકાસ્પદોની કલાકો પૂછપરછ કરાઇ હતી.

બાદમાં એટીએસના અધિકારીઓ શંકાસ્પદોની પડઘા પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. જ્યાં વધુ પૂછપરછ માટે ૧૨ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓ સામે કેસ નોંધવાની અને અન્ય કાર્યવાહી કરાઇ હતી.  અમે ચોક્કસ વ્યક્તિઓની ઓળખ કરી છે તેના આધારે શોધખોળ ચાલી રહી છે. એમ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ પર દેશવ્યાપી કાર્યવાહીના ભાગરૃપે પડઘા- બોરીવલીમાં સર્ચ ઓપરેશન કર્યું હતું તેમજ સાકીબ નાચન સહિત અનેક આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવાના ઉદ્દેશ્યથી  ફરીથી કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments