– નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ ૭.૪ ટકા રહી, જે છેલ્લા ૪ ક્વાર્ટરમાં સૌથી વધુ
અમદાવાદ : મૂડીઝ રેટિંગ્સ એજન્સી સાથેની બેઠકમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ ભારતની મેક્રોઇકોનોમિક સ્થિરતા, રાજકોષીય સમજદારી અને ફુગાવાના દરમાં ઘટાડાને ટાંકીને રેટિંગ અપગ્રેડ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
એક અઠવાડિયા પહેલા, દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના કામચલાઉ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ દરમિયાન) વૃદ્ધિના આંકડા સુધરીને ૭.૪ ટકા થયા છે, જે છેલ્લા ૪ ક્વાર્ટરમાં સૌથી વધુ છે.
રેટિંગ એજન્સી સાથે આ ચર્ચા તાજેતરના ભારત-પાકિસ્તાન મુકાબલા અને વૈશ્વિક વેપારમાં વધતા તણાવ વચ્ચે થઈ છે. ભારતના મજબૂત આંતરિક વિકાસ ડ્રાઇવરો, વિશાળ સ્થાનિક અર્થતંત્ર અને કોમોડિટી વેપારને ટાંકીને, મૂડી’સ રેટિંગ્સે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત યુએસ ટેરિફ અને વૈશ્વિક વેપાર-સંબંધિત અવરોધોનો સામનો કરવા માટે અન્ય ઘણા ઉભરતા બજારો કરતાં વધુ સારી સ્થિતિમાં છે.
મૂડી’સે જણાવ્યું હતું કે મેની શરૂઆતમાં થયેલા અથડામણ અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન તણાવની પાકિસ્તાનના વિકાસ પર ભારત કરતાં વધુ અસર પડશે. પરંતુ એજન્સીએ એમ પણ કહ્યું હતું કે યુએસમાં નિકાસ થતી મોટાભાગની ચીની ચીજો પરના ટેરિફ વૈશ્વિક વિકાસને અવરોધશે અને કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ભારતનો આર્થિક વિકાસ ૬.૭ ટકાના અગાઉના અંદાજથી ૬.૩ ટકા સુધી ધીમો પડી શકે છે.
આ વર્ષે મે મહિનામાં, વૈશ્વિક સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ એજન્સી મોનગસ્ટાર DBRSએ સ્થિર ભાવના સાથે ભારતના લાંબા ગાળાના વિદેશી અને સ્થાનિક ચલણ ઇશ્યુઅર રેટિંગ BBB-નીચાથી વધારીને BBB કર્યું હતું. મોર્નિંગસ્ટાર અપેક્ષા રાખે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ મર્યાદિત રહેશે અને મધ્યમ ગાળામાં ભારતની વૃદ્ધિની સંભાવનાઓ અથવા ક્રેડિટ યોગ્યતાને અસર કરશે નહીં.