Vadodara Crime : વડોદરાના પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાની અદાવતે માંજલપુર વિસ્તારમાં રહેતા બે મિત્રોને રસ્તામાં ઘેરીને છ જેટલા ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ લોખંડની પાઇપથી બંને મિત્રો પર હિંસક હુમલો કરાયો હતો. લોહી લુહાણ હાલતમાં બંને મિત્રોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માંજલપુર પોલીસે એસએસસીમાંથી મળેલી વર્દીના આધારે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ગંગા સોસાયટીમાં રહેતા 26 વર્ષીય અજય તેજવીરસિંહ ચૌધરી અને મારૂતિ ધામ સોસાયટીમાં રહેતા ઉત્કર્ષ અનિલ રાજપુત પાંચ જૂનના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં મારૂતિ ધામ સુસેન સર્કલ પાસે પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન આશિષ બારોટ અને બીજા પાંચ સાગરીતો સાથે ધસી આવ્યો હતો. ત્યારબાદ આ અજય ચૌધરી અને રાજપૂતને ઘેરી લીધા હતા. તેમની સાથે આ લોકોએ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું અને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી આ બંને મિત્રોએ આશિષ બારોટ સહિતના સાગરીતોને ગાળો નહીં બોલવાનું કહેતા તેઓ ઉસકેરાઈ ગયા હતા અને બંને મિત્રો પર લોખંડની પાઇપ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન રોડ ઉપર લોકોના ટોળા ભેગા થઈ જતા આશિષ બારોટ અને તેના સાગરીતો સ્થળ પરથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા બંને મિત્રોને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવકે આશિષ બારોટ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. આશિષ બારોટ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હોય તેની અદાવતે હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.