ઝારખંડના લાતેહારમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહીં પોલીસ સાથે થયેલી અથડામણમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા અને તેનો એક સાથી એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આ ઘટના શનિવારે સવારે લાતેહારના ઈચાબાર સલૈયાના જંગલોમાં બની હતી.
શનિવારે સવારે પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર જોવા થયું હતું. આ એન્કાઉન્ટરમાં ઝારખંડ પોલીસને સફળતા મળી છે. પોલીસે બે ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. આ ઘટનામાં ઉગ્રવાદી સંગઠન JJMPના સુપ્રીમો પપ્પુ લોહરા પણ માર્યો ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પપ્પુ લોહરા પર કુલ 15 લાખ રૂપિયાનું ઇનામ હતું.
કોણ હતો પપ્પુ લોહરા
પપ્પુ લોહારા અગાઉ નક્સલવાદી હતો. છેલ્લા વર્ષોમાં બુઢા પહાડ પર નક્સલીઓના ખાત્મા બાદ લોહરાએ પોતાનું અલગ સંગઠન બનાવી લીધુ હતું. સંગઠન બનાવ્યા બાદ લોહરા ગેરકાયદેસર ખંડણી સહિત અનેક ગુનાઓમાં સામેલ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે જ્યારથી પપ્પુએ પોતાનું સંગઠન બનાવ્યું છે, ત્યારથી તેની ગેંગ લોકોને લૂંટી રહી છે.પોલીસ અને લોહરા ગેંગ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, JJMP સુપ્રીમો પપ્પુ લોહરા પોતાના સાથીઓ સાથે લાતેહારના ઈચાબાર સલૈયા જંગલમાં છુપાયેલો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને લોહરા ગેંગ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું. લાંબા સમય સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ કર્મચારીઓએ બે નક્સલીઓને ઠાર માર્યા. જ્યારે મૃતદેહોની ઓળખ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માર્યા ગયેલા બે ઉગ્રવાદીઓમાંથી એક JJMP સુપ્રીમો પપ્પુ લોહરા હતો. ત્યારબાદ પોલીસ જવાનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
છત્તીસગઢમાં 27 નક્સલવાદીઓ ઠાર
તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે ભીષણ એન્કાઉન્ટરની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં અહીંના જવાનોએ સેંકડો નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઉપરાંત હજારો નક્સલીઓએ આત્મસમર્પણ પણ કર્યું છે. તાજેતરમાં જ છત્તીસગઢમાં જવાનોએ 27 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.