કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને ટીમ ઈન્ડિયાની જેમ કામ કરે તો કોઈપણ લક્ષ્ય અશક્ય નથી. વૈશ્વિક રોકાણકારોને ભારતમાં ખૂબ જ રસ છે. રાજ્યોએ આ તકોનો લાભ ઉઠાવીને નીતિવિષયક અવરોધો દૂર કરીને તેમને આકર્ષવા જોઈએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની ૧૦મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા કહ્યું હતું. જોકે, આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હાજર રહ્યા નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે વિકાસની ગતિ વધારવાની જરૂર છે. ભારતે બ્રિટન, સંયુક્ત આરબ અમિરાત અને ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરારો કર્યા છે અને રાજ્યોએ આ તકોનો મહત્તમ લાભ લેવો જોઈએ. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે, આ બેઠકમાં દેશના કુલ ૩૬માંથી ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હાજરી આપી હતી. જે રાજ્યો ગેરહાજર રહ્યા હતા તેમાં કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર અને પુડુચેરીનો સમાવેશ થાય છે.નીતિ આયોગની બેઠકમાં હાજર રહેનારા બધા જ રાજ્યોએ સર્વાનુમતે ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં આતંકી સ્થળોનો નાશ કરવાની સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. પીએમ મોદીને ટાંકતા નીતિ આયોગના સીઈઓએ કહ્યું કે, રોજગારી વધારવા માટે રાજ્યોએ તેમની સેવાઓ અને ઉત્પાદન સેક્ટર પર ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યોએ નીતિવિષયક અવરોધો, બિનજરૂરી કાયદાઓ દૂર કરવા જોઈએ અને રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવું જોઈએ. આપણે વિકાસની ગતિ વધારવી પડશે.
દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલીને કેન્દ્ર પાસે રાજ્યો માટે વધુ ભંડોળની માગ કરી હતી. તેમણે કહ્યું કે, ભારત જેવા સંઘીય લોકતંત્રમાં રાજ્યોએ પોતાના અધિકારનું ભંડોળ મેળવવા સંઘર્ષ કરવો પડે, કોર્ટમાં કેસ કરવો પડે તે આદર્શ સ્થિતિ નથી. આ બાબત રાજ્યો અને દેશ બંનેના વિકાસમાં અવરોધો ઊભા કરે છે.
સ્ટાલિને વિભાજ્ય કર મહેસૂલમાં રાજ્યોની ભાગીદારી વધારીને ૫૦ ટકા કરવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે, ૧૫મા નાણાં આયોગે વિભાજ્ય કર મહેસૂલનો ૪૧ ટકા હિસ્સો રાજ્યો સાથે શૅર કરવાની ભલામણ કરી હતી, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રના સકલ કર મહેસૂલમાંથી માત્ર ૩૩.૧૬ ટકા હિસ્સો જ રાજ્યોને અપાઈ રહ્યો છે.