ઓપરેશન સિંદૂર પછી, ભારતીય સાંસદો અને નેતાઓના પ્રતિનિધિમંડળો પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં કુવૈત ગયેલા ગુલામ નબી આઝાદ બીમાર પડી ગયા. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદને મંગળવારે કુવૈતની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કુવૈતની સત્તાવાર મુલાકાતે ગયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અચાનક બીમાર પડી ગયા, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આઝાદ હાલમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે વિદેશ પ્રવાસ પર હતા, જેમાં ભાજપના ઘણા અગ્રણી નેતાઓ પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત હાલમાં સ્થિર છે અને તેઓ ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને બૈજયંત જય પાંડા પણ આ પ્રવાસનો ભાગ છે. નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી અને કહ્યું, “તેમની ખરાબ તબિયત છતાં, ગુલામ નબી આઝાદે દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી લીધી. જ્યારે અમે તેમને હોસ્પિટલમાં મળવા ગયા ત્યારે તેમની આંખો ભીની હતી. આજના સમયમાં આવા સમર્પિત નેતા શોધવા ખૂબ મુશ્કેલ છે.”
ગુલામ નબી આઝાદે ફેસબુક પર પોસ્ટ મૂકીને લખ્યું કે મને એ જણાવતા ખુશી છે કે કુવૈતમાં ભીષણ ગરમીના કારણે મારા સ્વાસ્થ્ય પર અસર થઈ છતાં ઈશ્વરની કૃપાથી હું સ્વસ્થ છું અને સાજો થઈ રહ્યો છું. તમામ ટેસ્ટ રિપોર્ટ નોર્મલ છે. આપની ચિંતાઓ અને પ્રાર્થનાઓ માટે આપ સૌનો આભાર.દરમિયાન, પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાના રિયાધ પહોંચી ગયું છે, જ્યાં ભારતીય પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના અન્ય સભ્યો હાલમાં પ્રવાસ ચાલુ રાખી રહ્યા છે, જ્યારે આઝાદના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ ચારે બાજુથી મળી રહી છે. કેન્દ્ર સરકાર પણ તેમના સંપર્કમાં છે.