અગત્સ્ય નંદાની વોર ડ્રામા ‘ઈક્કિસ’ આગામી તા. બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીની રજા દરમિયાન રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. નિર્માતા દિનેશ વિજનના આ નિર્ણયથી ટ્રેડ વર્તુળોએ નવાઈ અનુભવી છે કારણ કે આ જ દિવસે ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રીકવલ રીલિઝ થવાની છે.
હજુ થોડા દિવસો પહેલાં જ ઋષભ શેટ્ટીએ જાહેર કર્યું હતું કે તેની ફિલ્મની રીલિઝ ડેટમાં કોઈ ફેરફાર થવાનો નથી. તે પછી દિનેશ વિજને ‘ઈક્કિસ’ની રીલિઝ ડેટ જાહેર કરી છે.
‘કાંતારા’ મૂળ ફિલ્મ બહુ જ વખણાઈ હતી અને તેથી તેની પ્રીકવલ માટે ચાહકોમાં પહેલેથી ઉત્સુકતા છે. બીજી તરફ અગત્સ્ય નંદાની ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મ ‘આર્ચીઝ’માં તેની એક્ટીંગ લોકોને નબળી લાગી હતી. અગત્સ્ય સાથે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર સહિતના કલાકારો છે. શ્રીરામ રાઘવન જેવા નિવડેલા દિગ્દર્શકની આ ફિલ્મમાં જયદીપ અહલાવત પણ છે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત પાક યુદ્ધના હીરો અને પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફટનન્ટ અરુણ ક્ષેત્રપાલની બાયોપિક છે. કેટલાક ટ્રેડ સમીક્ષકોના મતે હાલના ભારત પાકિસ્તાનના સંઘર્ષ બાદ ‘ઈક્કિસ’ પહેલી વોર ફિલ્મ છે જે રીલિઝ થઈ રહી છે. તેને આ માહોલનો ભાવનાત્મક લાભ મળે છે કે કેમ તે જોવાનું રહે છે.
દરમિયાન આ ફિલ્મની રીલિઝ ડેટ નક્કી થતાં જ અગત્સ્યની ગર્લફ્રેન્ડ મનાતી સુહાના ખાને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી તેને અભિનંદન પાઠવ્યાં હતાં.