ઈસ્કોન દ્વારા આયોજિત કોલકાતાની પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે એક અનોખા ફેરફાર સાથે ભક્તો સામે આવશે. આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ લડાકૂ વિમાનના ટાયર પર સવાર થઈને ધીમી ગતિએ આગળ વધશે. આ ફેરફાર છેલ્લા 48 વર્ષની પરંપરાને તોડે છે, જેમાં બોઈંગ વિમાનના પૈડાની મદદથી રથ ખેંચવામાં આવતો હતો.
છેલ્લા 48 વર્ષથી કોલકાતાની રથયાત્રામાં બોઈંગ ટાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ ટાયર ખૂબ જૂના થઈ ગયા હતા અને છેલ્લા 15 વર્ષથી બોઈંગ ટાયરના રિપ્લેસમેન્ટની તલાશ કરવામાં આવી રહી હતી. કારણ કે હવે બોઈંગ ટાયર મળવા ખૂબ મુશ્કેલ છે.ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું કે, ‘સુખોઈના ટાયરનો વ્યાસ બોઈંગના ટાયર જેટલો જ છે, જેના કારણે આ વર્ષે રથમાં સુખોઈના ટાયર ફીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનોખા પરિવર્તનની પ્રક્રિયા પણ પોતાનામાં રસપ્રદ રહી છે.’
રાધારમણ દાસના જણાવ્યા પ્રમાણે જ્યારે ઈસ્કોને સુખોઈ ટાયર બનાવનારી કંપની પાસેથી કોટેશન માગ્યું, ત્યારે કંપની હેરાન રહી ગઈ. કંપનીના અધિકારીઓ સમજી ન શક્યા કે કોઈ તેના ટાયરનું કોટેશન કેમ માગી રહ્યું છે અને તે પણ રથયાત્રા માટે. ત્યારબાદ ઈસ્કોને કંપનીને આખી સ્થિતિ સમજાવી અને તેમની એક ટીમને કોલકાતા બોલાવી અને તેમને રથ પણ બતાવ્યો. ત્યારબાદ જ કંપનીએ ઈસ્કોનને ચાર સુખોઈ ટાયર પૂરા પાડ્યા. હાલમાં આ ટાયરને લગાવવાનું કામ ચાલી રહ્યું છે.
સ્કોનના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘આ વર્ષની રથયાત્રામાં ભગવાન જગન્નાથ સુખોઈ ટાયરથી શણગારેલા રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપશે. આ ન માત્ર ટેકનિકલ દૃષ્ટિકોણથી એક મોટો ફેરફાર છે, પરંતુ તે પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમનું પણ પ્રતીક છે.’