Jamnagar Demolition : જામનગરમાં અંબર ચોકડી નજીક જૂના રેલવે સ્ટેશન પાસે રેલવેની જગ્યામાં કાયમી સમસ્યા સમાન ઝૂંપડપટ્ટી ખડકાઈ જાય છે. રેલવે તંત્ર દ્વારા અનેક વખત આ ઝૂંપડપટ્ટીને હટાવવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ ઝૂંપડાવાસીઓ ફરી આ જગ્યાએ આવીને કબજો કરી લેતા હોય છે.
આજે ફરીથી રેલવે પોલીસની ટીમ દ્વારા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ રેલવે પોલીસનો સ્ટાફ અંબર ચોકડી પાસે આવી પહોંચ્યો હતો, જ્યાં રેલવેની ત્રિકોણ વાળી જગ્યામાં 20 થી વધુ ઝૂંપડા ખડકાઈ ગયા છે, જે તમામને ખાલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા તમામ ઝૂંપડાવાસીઓને પોતાનો માલ સામાન લઈ જવા માટેની તક આપી હતી, અને ઝૂંપડાવાસીઓએ પણ ચોમાસાની સિઝન આવી રહી છે, ત્યારે પોતાને અહીંથી નહીં ખસેડવા માટે રકઝક કરી હતી, પરંતુ રેલ્વે પોલીસ તંત્રએ મચક આપી ન હતી, અને જગ્યા ખાલી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.