Sharmishtha Panoli Case: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની જામીન અરજી પર કોલકાતા હાઈકોર્ટમાં મંગળવારે (3 જૂન) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શર્મિષ્ઠાની એક વિવાદિત વીડિયોને લઈને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તે અમુક બોલિવૂડ સ્ટાર્સની ટીકા કરી રહી હતી. આ વીડિયોમાં તેણે ઓપરેશન સિંદૂર પર સ્ટાર્સની ચુપ્પી પર પ્રશ્ન કર્યા હતાં. જોકે, બાદમાં તેણએ આ વીડિયો ડિલિટ કરી દીધો હતો. હવે આ મામલે 5 જૂને સુનાવણી થશે, જેમાં રાજ્ય સરકાર એક સોગંદનામું દાખલ કરશે અને પોલીસ કેસ ડાયરીને કોર્ટ સામે રજૂ કરશે.
પોલીસ પાસે ધરપકડનો અધિકાર
જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે શર્મિષ્ઠાના વકીલને કહ્યું કે, વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો, એવું સાંભળવા મળ્યું કે, તેના કારણે એક ખાસ વર્ગની લાગણી દુભાઈ. ખંડપીઠે કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદી પર પૂર્ણ સ્વતંત્રતા છે, તેનો અર્થ એ નથી કે, તમે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવી શકો. જો સજા 7 વર્ષથી ઓછી હોય તો પણ પોલીસ પાસે કોઈની પણ ધરપકડ કરવાનો અધિકાર છે. કથિત ગુનાની સજા 7 વર્ષથી ઓછી છે તો તેનો અર્થ એવો નથી કે, પોલીસ તેની ધરપકડ ન કરી શકે. ભારતીય ન્યાય સંહિતાના સેક્શન 35ની કોઈપણ શરત પૂરી થતા પોલીસ ધરપકડ કરી શકે છે, તમારે પહેલાં જોગવાઈ વાંચી લેવી જોઈએ.
હાઈકોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યક્તિએ આવી ટિપ્પણી કરતા સમયે સાવધાની રાખવી જોઈએ, કારણ કે આપણા દેશમાં વિવિધ સમુદાય, જાતિ અને ધર્મના લોકો એકસાથે રહે છે. શર્મિષ્ઠા પનોલી સામે કોલકાતાના ગાર્ડનરીચ પોલીસ સ્ટેશનમાં દાખલ કેસને મુખ્ય મામલો માનવામાં આવશે કારણકે, આ કેસ પહેલાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે દાખલ અન્ય કોઈપણ મામલાની કાર્યવાહી હાલ બંધ કરવામાં આવે.
રાજ્ય દાખલ કરશે સોગંદનામું
આ વિશે વધુ વાત કરતા કોર્ટે કહ્યું કે, રાજ્ય સુનિશ્ચિત કરે કે, શર્મિષ્ઠા પનોલી સામે એક જ આરોપ સાથે કોઈ અન્ય FIR દાખલ કરવામાં ન આવે. એજન્સીના આરોપ સામે મુખ્ય મામલે તપાસ કરવામાં આવશે. રાજ્યને સોગંદનામું દાખલ કરવાની તક આપવામાં આવશે કારણ કે, તે જવાબ અને સંબંધિત દસ્તાવેજ દાખલ કરવા ઈચ્છે છે. કોલકાતા પોલીસ પાસેથી કેસ ડાયરી માંગવામાં આવી રહી છે, કારણ કે કોર્ટે પહેલાં કેસ ડાયરી જોવા ઈચ્છે છે. કેસની આગળની સુનાવણી 5 જૂને થશે.