ભરૂચ જીલ્લાના અંકલેશ્વર નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેસર ફ્લેમિંગો પક્ષીઓએ આગમન કર્યું છે. લેસર ફ્લેમિંગો પક્ષીઓ દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી ભારતના વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે. આ પક્ષીઓને પોષક તત્વોથી ભરપૂર શેવાળ અને ખારા પાણીના ઝીંગા આકર્ષે છે. ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને કારણે આ પક્ષીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદીમુખોમાં 60ના ઝુંડમાં આ પક્ષીઓ જોવા મળ્યા હતા. ગુલાબી પીંછા અને વાંકી ચાંચ ધરાવતા આ આકર્ષક પક્ષીઓનું અંકલેશ્વરમાં આગમન ગુજરાતના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે.

હાલમાં બ્રિડિંગ સિઝન હોવાથી આ પક્ષીઓ ગુજરાતમાં 2-3 મહિના માટે આવે છે. મોટાભાગે કરછના સરહદી વિસ્તારોમાં જોવા મળે છે, પ્રથમ વખત અંકલેશ્વરના દરિયા અને નદીના મુખ પ્રદેશમાં જોવા મળ્યા હતા. ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે, આ એ જ પ્રજાતીના પક્ષી છે. નર્મદા નદીનું મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાય-વે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વપૂર્ણ ખોરાકનું મેદાન પૂરું પાડે છે. અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેન્ગ્રોવ્સનું સંરક્ષણ આ વિસ્તારને ફ્લેમિંગોનું કાયમી આશ્રયસ્થાન બનાવી શકે છે. આ ઘટના ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચેના સફળ સંતુલનનું ઉદાહરણ છે.
Reporter : કેતન મહેતા,અંકલેશ્વર