રાજ ઠાકરે: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શાળા શિક્ષણમાં હિન્દી ફરજિયાત શીખવવા અંગે ઘણી મૂંઝવણ ચાલી રહી છે. દરમિયાન, બુધવારે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યના શિક્ષણમંત્રી દાદાજી ભૂસેને લેખિત આદેશ જારી કરવા માટે પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘પહેલા ધોરણથી ફક્ત બે ભાષાઓ, મરાઠી અને અંગ્રેજી, ફરજિયાત કરવી જોઈએ, જ્યારે હિન્દીને વૈકલ્પિક ભાષા તરીકે રાખવી જોઈએ.’
એપ્રિલ મહિનામાં, મહારાષ્ટ્ર સરકારે તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા તરીકે હિન્દીનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો હતો. આ નિર્ણયનો મનસે સહિત ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો. વિરોધ બાદ, સરકારે આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
રાજ ઠાકરેએ દાદા ભૂસેને પત્ર લખીને કરી આ માંગણી
રાજ ઠાકરેએ બુધવારે રાજ્યના શાળા શિક્ષણ મંત્રી દાદાજી ભૂસેને અપીલ કરી હતી કે તેઓ શક્ય તેટલી વહેલી તકે એક લેખિત આદેશ જારી કરે જેમાં જણાવવામાં આવે કે ધોરણ 1 થી ફક્ત બે ભાષાઓ, મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે અને હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવશે નહીં.
જો આવું નહીં થાય, તો પાર્ટી વિરોધ કરશે
આ અંગે રાજ ઠાકરેનું કહેવું છે કે, ‘અમારી પાસે માહિતી છે કે હિન્દી સહિત ત્રણ ભાષાઓ શીખવવાના અગાઉના નિર્ણયના આધારે, હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકોનું છાપકામ શરૂ થઈ ગયું છે. હવે જ્યારે પુસ્તકો છાપવામાં આવ્યા છે, તો શું સરકાર તેના નિર્ણય પર પાછા ફરવાનું વિચારી રહી છે?’
રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો આવું નહીં થાય પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે અને તેના માટે સરકાર જવાબદાર રહેશે.