સાણંદમાં 31 મેના દિવસે નોંધાયેલા અપહરણ અને હુમલાના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. શંકાસ્પદ પ્રેમ સંબંધના આધારે યુવકને ઉપાડીને સ્માશાને લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ મામલે ફરિયાદ નોંધાતા સાણંદ અને અમદાવાદ પોલીસે સાથે મળી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ ફરિયાદ અનુસાર, નિધરાડ ગામના જયેશ ઠાકોર અને ત્રણ અજાણ્યા શખસોએ બપોરે 3 વાગ્યે પીડિતનું બળજબરી પૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી કથિત રીતે પોતાની દીકરી સાથે પ્રેમ સંબંધના કારણે રોષે ભરાયો હતો. જેની અદાવત રાખી આરોપી પોતાના મિત્રો સાથે કારમાં આવ્યો અને એકલિંગજી નજીકના ત્રણ રસ્તા પાસેથી ફરિયાદીનું અપહરણ કરી લીધું. બાદમાં તેને નિધરાડ ગામના સ્મશાનમાં લઈ જઈ તેને ઈંટ, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. આ સિવાય આરોપીઓએ પીડિતને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાણંદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો. સાણંદ પોલીસે અમદાવાદ ગ્રામીણ પોલીસની મદદથી આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી અને ટેકનિકલ દેખરેખ અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી અને ગુનામાં વપરાયેલ વાહન અને હથિયારો બંને જપ્ત કર્યા.