આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ . ત્યારે પીએમ મોદીએ નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે સિંદૂરનો છોડ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે. તેમણે એક્સ પર તસવીર શેર કરતા કહ્યું કે સિંદૂરનો છોડ મને કચ્છની મહિલાઓના એક સમૂહ દ્વારા મને ભેટ આપવામાં આવ્યો હતો. કે જેઓએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નોંધપાત્ર બહાદુરી દર્શાવી હતી.
તેમણે ટ્વિટ કરતા લખ્યું કે 1971ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે વિશ્વ પર્યાવરણ દિવસે મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં તે છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યુ છે. આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે. તેમ જણાવીને પીએમ મોદીએ છોડ વાવતા હોય તેવા બે ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.
મહત્વનું છે કે એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં હિંદુ પુરુષોને તેમની પત્ની સામે આતંકીઓએ મારી નાંખ્યા હતા. જેને કારણે આખા દેશમાં જબરદસ્ત રોષ ફેલાયો હતો. ત્યારબાદ સેના દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું અને આતંકીઓને ઠાર માર્યા. જે બાદથી સિંદૂર બલિદાન અને શક્તિનું પ્રતિક તરીકે ઉભરી આવ્યું. મહત્વનું છે કે પીએમ મોદીએ બિહારના પ્રવાસ દરમિયાન જનસભા સંબોધતા કહ્યું હતું કે લોહી નહીં, પણ સિંદૂર મારી નસોમાં વહે છે,” જે ભારતના સંકલ્પની ઊંડાઈ પર ભાર મૂકે છે. તેમણે કડક ચેતવણી ઉમેર્યું હતું કે ભારતના દુશ્મનો હવે “જ્યારે સિંદૂર ગનપાઉડરમાં ફેરવાઈ જાય છે ત્યારે તેના પરિણામો દુશ્મનો જાણે છે.