Raj Thackeray Uddhav Thackray Alliance: મહારાષ્ટ્ર ફરી ઠાકરે બંધુ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ શરુ થઇ છે. શિવસેના યુબીટીના મુખપત્ર સામનાના પહેલા પાના પર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો ફોટો છપાયેલો છે. એ પરથી જ બંને ઠાકરે ભાઈઓની આ તસવીરને મનસે અને શિવસેના યુબીટીના એક સાથે આવવાની શક્યતા તરીકે જોવામાં આવી રહી છે. સામનામાં પ્રકાશિત આ સમાચારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ કરી છે અને લોકોની ઉત્સુકતા વધારી છે.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના લાગ્યા પોસ્ટર
મુંબઈના કેટલાક વિસ્તારોમાં બંને નેતાઓના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા સ્થળોએ લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રના 8 કરોડ મરાઠી લોકો બંને ભાઈઓને ફરી એકવાર સાથે જોવા માંગે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં આ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ
અગાઉ, જ્યારે ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભાઈ રાજ ઠાકરે સાથે આવવાની અટકળો પર શું કહેશે, ત્યારે શિવસેના યુબીટી વડાએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના દિલમાં જે છે તે થશે.’ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો માટે આ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનની રૂપરેખા અને શરતો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ગઠબંધન પર સુપ્રિયા સુલેએ આપી પ્રતિક્રિયા
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના ગઠબંધન પર શરદ પવારના દીકરી અને NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ આવી છે. આ મામલે તેમણે કહ્યું છે કે, ‘લોકશાહીમાં, દરેકને કોની સાથે જવું તે નક્કી કરવાનો અધિકાર છે… જેટલા વધુ ભાગીદારો આવશે, તેટલું મહાવિકાસ આઘાડી માટે સારું રહેશે. અમે મહારાષ્ટ્ર માટે સાથે મળીને કામ કરીશું. તાકાત વધશે. જો બંને ભાઈઓ સાથે આવી રહ્યા હોય તો સારું છે… રાજ ઠાકરેના આવવાથી અમને કોઈ વાંધો નથી.’