અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ ક૨તા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો.

કામદારો સમયસુચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી. આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સીના 5 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.બીજી તરફ અંકલેશ્વર મામલતદાર, જી.આઈ.ડી.સી પોલીસ અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
કેતન મહેતા, પાનોલી