વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નડિયાદથી સારંગપુર યાત્રાધામ જતા મુસાફરોને મળ્યો પર્યાવરણ સંદેશ નડિયાદ, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના નડિયાદ એસટી ડેપો દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી. નડિયાદથી સારંગપુર યાત્રાધામ જતી બસમાં વિભાગીય અને ડેપો સ્તરેથી મળેલ માર્ગદર્શન હેઠળ વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો.

બસમાં પ્રવાસ દરમિયાન મુસાફરોને પ્રકૃતિનું જતન, પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. બસને અંદરથી વન જેવું વાતાવરણ આપી, વિવિધ પર્યાવરણીય સંદેશ આપતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ અનોખી પહેલના ભાગરૂપે મુસાફરોને ‘એક વૃક્ષ વાવે ગુજરાત, ઉછેરે ગુજરાત’ અભિયાન અંતર્ગત વૃક્ષના છોડ પણ આપવામાં આવ્યા, જેથી તેઓ પોતાની પાસે તેનું વૃક્ષારોપણ કરી પર્યાવરણમાં પોતાનું યોગદાન આપી શકે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધારવાનો સુંદર સંદેશ પ્રસરે છે અને એસટી વિભાગના આ પ્રયાસને સર્વત્ર પ્રશંસા મળી રહી છે.
Reporter : નરેશ ગનવાણી નડિયાદ