ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક જૈન સાધ્વી મધુ સુધાજી મહારાજની વ્હીલચેરને ટેમ્પો ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં વ્હીલચેરને ધક્કો મારનાર સેવિકા ગજરાબેન મેઘવાલનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. ઘટના સમયે જૈન સાધ્વી અને તેમની સેવિકા રોડ ક્રોસ કરી રહ્યા હતા.
વરેડિયા સુંદર વિહાર ધામથી અસુરીયા ગામના જૈન વિહાર ધામ તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટેમ્પોએ તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા સાધ્વી મહારાજને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક સેવિકા ગજરાબેન રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંકશન માલી મોલા વિસ્તારના રહેવાસી હતા.
REPORTER : કેતન મહેતા, ભરૂચ