આગામી 14 જૂન 2025ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 1008 બહેનો એકસાથે સિંદૂર વૃક્ષનું વાવેતર કરશે. ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ગુજરાત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. કલેક્ટરે જણાવ્યું કે સિંદૂર વન કાર્યક્રમ શૌર્ય, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના દર્શાવે છે. તેમણે સંબંધિત અધિકારીઓને કાર્યક્રમની વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવવા સૂચનાઓ આપી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, વન સંરક્ષક ચિરાગ અમીન, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલ શૌર્ય, આધ્યાત્મિક અને પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણે મહત્વપૂર્ણ પગલું બની રહેશે.