દુબઈ મરિનામાં 67 માળની એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આગ ઝડપથી ફેલાવા લાગી, ત્યારે ઉપરના માળે રહેતા લોકોને ખબર પણ ન હતી કે તેઓ જે ઈમારતમાં છે, ત્યાં આટલી વિકરાળ આગ લાગી છે. જ્યાં સુધી તેમને આ દુર્ઘટના વિશે જાણ થઈ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચુક્યું હતું. આ દુર્ઘટનામાં 4000 લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આગની ઘટના બાદ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઈમારતમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, ફાયર એલાર્મ કામ કરી રહ્યા ન હતા, જેના કારણે તેમને આગ વિશે જાણ ન થઈ. જ્યારે તેમને ધુમાડો દેખાયો અથવા તેમના મિત્રો અને પડોશીઓએ ફોન કરીને કહ્યું ત્યારે તેમને ખબર પડી.મળતી માહિતી મુજબ, ઈમારતની સીડીઓ ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જેના કારણે આગ જેવી પરિસ્થિતિમાં પણ લોકોને લિફ્ટમાંથી ભાગવું પડ્યું. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા અને બહાર કાઢવામાં આવ્યા. જોકે, અનેક લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ મૃત્યુઆંક સામે આવ્યો નથી.