સુરેન્દ્રનગર જીલ્લાની લખતર ખાતે આવેલ કરણસિંહજી મીડલ સ્કુલ પે-સેન્ટર શાળાના શિક્ષકે નાનપણથી અભ્યાસ છોડનાર એક વિદ્યાર્થીને દત્તક લઈ અભ્યાસ સહિત તેના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી એક શિક્ષક સાથે માતા-પિતાની પણ જવાબદારી નિભાવી પ્રેરણાદાયી ઉદાહરણ સમાજને પુરૂ પાડયું છે.
લખતરની કરણસિંહજી મીડલ સ્કુલમાં જીતુ કાંતિભાઈ ઓગણીયા નામનો દેવીપુજક પરિવારના વિદ્યાર્થી અભ્યાસ અર્થે ધોરણ-૧ થી શાળામાં બેસાડયો હતો અને ત્યાર બાદ ધોરણ-૫ માં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીના પિતાનુું અવસાન થતાં તેની માતા મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આથી આર્થિક પરિસ્થિતિ સારી નહિં હોવાથી વિદ્યાર્થી પાંચમા ધોરણથી શાળા છોડી દેવા માટે મજબુર બન્યો હતોદરમ્યાન શાળામાં ફરજ બજાવતા શિક્ષક ભરતભાઈ દેવૈયાએ વિદ્યાર્થીને દત્તક લઈ તેનો અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી આગળના ધોરણમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન તેમજ મદદ કરી હતી અને કોરોનાકાળ દરમ્યાન વિદ્યાર્થીએ ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. જેમાં પાસ થતાં શિક્ષક દ્વારા કોલેજની વાર્ષિક ફી અને હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી હતી પરંતુ દત્તક લીધેલ વિદ્યાર્થીએ આગળ અભ્યાસ નહિં કરવાનું જણાવી માતાને મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવતા ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરી ત્યારબાદ કડીયાકામે લાગી ગયો હતો અને કડીયાકામ શીખી પગભર બન્યો હતો. ત્યારે દત્તક લીધેલ દિકરાના લગ્ન પ્રસંગમાં પણ શિક્ષક ભરતભાઈ દેવૈયાએ અંદાજે ૨૦૦થી વધુ માણસોના જમણવારનો તમામ ખર્ચ પોતે ઉઠાવી એક આદર્શ અને માનવતાવાદી શિક્ષકનું ઉદાહરણ પુરૂ પાડયું છે અને ખરા અર્થમાં શિક્ષક કભી સાધારણ નહિં હોતા… પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમો ખેલતે હૈ… સુત્રને સાર્થક કર્યું છે.