લાખણી:- તા. 12 જૂન 2025ના રોજ થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાન પામેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન. શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય યાત્રિકો માટે ગેળાની જય બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળા ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાઓ દ્વારા સંયુક્તરૂપે કરવામાં આવ્યું હતું.સભાની શરૂઆત ઉપસ્થિત સંતો અને મહંતોના માર્ગદર્શન તથા પ્રેરણાપૂર્વકની પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક શાસ્ત્રીયતા અને ભાવના ઉજાગર થઈ.
આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો અને ગૌસેવા ક્ષેત્રના કાર્યકરો દ્વારા તેમના લોકહિતના કાર્યોને યાદ કરાતા કાર્યક્રમ ભાવુક માહોલમાં સંપન્ન થયો હતો.

વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓ માટે વિશિષ્ટ આર્થિક સહાયનો નિર્ણય લેવાયો હતો.
તેમણે ગૌવંશ હત્યા પ્રતિબંધિત કાયદાને વધુ સખત બનાવીને ગૌરક્ષા માટે કડક વલણ દર્શાવ્યું હતું.
તદુપરાંત, વર્ષ ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લાના ભયંકર પૂર દરમિયાન એક અઠવાડિયા સુધી પોતે બનાસકાંઠામાં રહીને રાહત અને પુનઃસ્થાપન કામગીરીનું તત્કાલ નેતૃત્વ કર્યું હતું, જે આજે પણ એક સચોટ સેવા ઉદાહરણરૂપ બનાવાયું છે.
આ શ્રદ્ધાંજલિ સભામાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની વિવિધ ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓના સંચાલકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના મંત્રીશ્રી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તથા ગૌ સાંસદ રામાભાઈ રાજપુત તથા બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના પ્રમુખ શ્રી જીનુભાઈ શાહ થરા તથા એસ પી સી એ મેં ટ્રસ્ટી જયંતીલાલ દોશી દિયોદર તથા આસોદર જગ્યાના મહંત શ્રી રેવાપુરી બાપુ તથા સેકડા ગૌશાળા સુંદરનાથજી બાપજી તથા સણાદર ગૌશાળા અંકુર પૂરી બાપજી વગેરે તથા સ્થળ ગૌશાળા ગેળા અન્ય ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
વિજયભાઈ રૂપાણી તથા તમામ પાવન આત્માઓ માટે મૌન પાળવામાં આવ્યું અને અંતે શાંતિપ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
REPORTER : મુકેશ સોની લાખણી