સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળા લાભાર્થે ડ્રો ના નામે 3.9 કરોડથી વધુ ખંખેરી લેવાના ગુનામાં 5 ઝડપાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળા લાભાર્થે ડ્રો ના નામે થયેલી છેતરપિંડીનો મામલો ચર્ચામાં આવ્યો છે. ડ્રોના બહાને લોકો પાસેથી રૂ. 3.9 કરોડથી વધુની રકમ ખંખેરાઈ હોવાના આક્ષેપ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ડ્રો ના નામે છેતરપિંડી કરનાર સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. થાનગઢ પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં 7માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રામદાસ બાપુ, લગધીર કારેલીયા, સુરેશ ઝરવરીયા, મેરા ડાભી અને નરેશ સોલંકીની ધરપકડપકડાયેલા આરોપીઓમાં રામદાસ બાપુ, લગધીર કારેલીયા, સુરેશ ઝરવરીયા, મેરા ડાભી અને નરેશ સોલંકીનો સમાવેશ થાય છે. થાનગઢ પોલીસ દ્વારા તમામ પાંચ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે કે આ કેસના બે આરોપી રમેશ જેજરીયા અને હીરા ગ્રામભાડિયા હાલ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપીઓને ઝડપવા માટે થાનગઢ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન કૌભાંડની રકમ, અન્ય સંડોવાયેલા લોકો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે.
થાનગઢ પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને ગૌશાળાના નામે લોકો સાથે થયેલી છેતરપિંડી અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.


