ભરૂચ શહેરના હાર્દ સમાન સિટી સેન્ટર વિસ્તારમાં ગતરોજ વહેલી સવારે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને દબાણ હટાવવાની દિશામાં સવારે ૪ વાગ્યાના ટકોરે, જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે એસડીએમ મનીષા મનાણી અને પોલીસ કાફલાની હાજરીમાં જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર અને માસુમપીર નામની બે દરગાહો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઓપરેશનને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવા સહિત ૭૦થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. દરગાહો ઉપરાંત, તંત્ર દ્વારા આ જ પરિસરમાં આવેલી અને લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી ૩૬ દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ દબાણો હટાવવા માટે અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી.

બીજી તરફ, આ કાર્યવાહીને પગલે દરગાહના ટ્રસ્ટીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર, દરગાહ વર્ષો જૂની છે અને આ મામલે હાઈકોર્ટમાં કાનૂની લડત ચાલી રહી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટમાં જવા આદેશ આપ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોવા છતાં તંત્રએ વહેલી સવારે ઓચિંતી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ ટ્રસ્ટીઓએ કર્યો હતો. જોકે, કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે તંત્રએ વ્યૂહાત્મક રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું.


