રાજકોટના રણછોડનગર શેરી નં. 1 માં અતુલભાઈ પટેલના ઘરેથી 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થવાની ઘટના સામે આવી છે. ડીસીપી ક્રાઈમ અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે.રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર 1 માં તસ્કરોએ કસબ અજમાવીને એક પટેલ વેપારીના ઘરમાંથી અધધ 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આટલી મોટી માત્રામાં ચાંદીની ચોરી થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અતુલભાઈ પટેલ નામના વેપારીના મકાનને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યું હતું. ચોરીની જાણ થતા જ અતુલભાઈએ તાત્કાલિક પૂર્વ રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને વિગતવાર જાણ કરી હતી. ધારાસભ્યએ પણ મામલાની ગંભીરતાને જોઈ તુરંત પોલીસ વિભાગને સતર્ક કર્યો હતો.ઘટનાની જાણ થતા જ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો મોટો કાફલો રણછોડનગર દોડી આવ્યો હતો. 140 કિલો ચાંદી એટલે કે કરોડો રૂપિયાની મત્તા ચોરાઈ હોવાથી પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને એફએસએલ (FSL) ની મદદ પણ લેવામાં આવી રહી છે.
આ ઘટના અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં આટલી મોટી ચોરીને અંજામ આપવા પાછળ કોઈ જાણભેદુ ગેંગ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. હાલમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


