સુરેન્દ્રનગરમાં કૌટુંબિક સગપણ પ્રેમમાં આડું આવતા પ્રેમી પંખીડાનો આપઘાત કરી લીધાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. બામણવા ગામે બે ચિતાઓ સાથે સળગતા શોકનું મોજું ફરી વળ્યું છે. બામણવા ગામની સીમમાં ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાઓએ જીવન લીલા સંકેલી લીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા બામણવા ગામમાં આજે માતમનો માહોલ છવાઈ ગયો છે. ગામની સીમમાં એક યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બામણવા ગામમાં જ રહેતા 21 વર્ષીય કૃણાલ રમેશભાઈ ઠાકોર અને 19 વર્ષીય જાનકી સતીષભાઈ ઠાકોર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. બંને એક જ જ્ઞાતિના હોવા છતાં તેમના પ્રેમમાં એક એવી દીવાલ હતી જે ઓળંગવી તેમના માટે અશક્ય બની હતી.

સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ અને પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કૃણાલ અને જાનકી બંને કૌટુંબિક સગા થતા હતા. સમાજ અને ખાસ કરીને ગ્રામીણ સંસ્કૃતિમાં કૌટુંબિક ભાઈ-બહેન વચ્ચેના લગ્ન સંબંધોને માન્યતા મળતી નથી. આ સામાજિક પરંપરાને કારણે બંને પ્રેમી પંખીડાઓ ક્યારેય એક થઈ શકશે નહીં તેવી ભીતિ તેમને સતાવી રહી હતી. સમાજ સામે લડવાને બદલે અથવા અલગ થવાને બદલે, બંનેએ સાથે જીવી તો નહી જ શકે પરંતુ સાથે મરી જવું તેવો આકરો નિર્ણય લીધો હતો. બંન્નેએ પોતાના જીવનનો અંત આણીદીધો હતો.
પરિવારજનોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દસાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને કબજે કર્યા હતા અને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતે મોતના ગુના હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
એક જ ગામના અને એક જ જ્ઞાતિના બે આશાસ્પદ યુવાનોના અકાળે મોતથી બામણવા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ, સામાજિક મર્યાદાઓ અને યુવા માનસિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ દિલ્હીમાં ત્રણ સગી બહેનોએ આપઘાત કરી લીધાની ઘટના બની હતી. જેમાં કોરિયન કલ્ચરથી પ્રભાવિત આ ત્રણેય બહેનોએ પોતાના જીવનનો અંત આણી દીધો હતો.


