ગાંધીનગર જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી મંદિર હાલ ટ્રસ્ટીઓના આંતરિક વિવાદને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટ્રસ્ટના આજીવન સભ્ય દ્વારા ટ્રસ્ટીના પદ અને વ્યવસ્થાપનને લઈને ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે સભ્ય દ્વારા ટ્રસ્ટને બંધ કરવા માટેની વિધિવત નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો ચેરિટી કમિશનર કચેરી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, જેના કારણે મંદિરના વહીવટમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

ચેરિટી કમિશનર કચેરી દ્વારા આપવામાં આવેલી નોટિસના પ્રત્યુત્તરમાં અત્યાર સુધી કોઈ નક્કર વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા નથી. જેને પગલે કચેરીએ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસની આગામી સુનાવણી અને વહીવટી કાર્યવાહી 12 માર્ચે હાથ ધરવામાં આવશે. ભક્તોમાં અત્યંત આસ્થા ધરાવતા આ તીર્થધામમાં વહીવટી વિખવાદને કારણે જૈન સમાજ અને સ્થાનિક રાજકારણમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.


