E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં...

Ahmedabad : તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર

જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરનું શાક ખાવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા છે. અમદાવાદની સેંકડો હોટલોમાં શુદ્ધ દૂધના પનીરને બદલે કેમિકલ, વનસ્પતિ તેલ અને સ્ટાર્ચમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ પીરસવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અસલી પનીર કરતા લગભગ અડધી કિંમતે મળતું આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે.

એનાલોગ પનીર એ અસલ પનીર નથી, પરંતુ તેને દેખાવમાં પનીર જેવું બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેમાં વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સ હોય છે. તેના પેકિંગ પર સ્પષ્ટ લખેલું હોય છે કે ‘આ દૂધમાંથી બનેલું નથી’, છતાં હોટલ સંચાલકો નફાની લાલચમાં તેને શુદ્ધ પનીર તરીકે ખવડાવે છે. શુદ્ધ પનીરનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, જ્યારે એનાલોગ પનીર હોલસેલમાં માત્ર 200 રૂપિયાથી 250 રૂપિયામાં મળી રહે છે.

અમદાવાદમાં અંદાજે 27,000થી વધુ નાની-મોટી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ આવેલી છે. જો રોજનું સરેરાશ 1 કિલો પનીર પણ એક રેસ્ટોરન્ટમાં વપરાય, તો એકલા અમદાવાદમાં રોજનું 27,000 કિલો પનીર ખવાય છે. એક કિલો અસલ પનીર બનાવવા 10 કિલો દૂધ જોઈએ, જેની સામે આટલો મોટો દૂધનો સપ્લાય ઉપલબ્ધ ન હોવાથી એનાલોગ પનીરનો વ્યાપ વધ્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમ મુજબ, જો કોઈ હોટલ એનાલોગ પનીરનો ઉપયોગ કરે, તો તેણે મેનુ કાર્ડમાં સ્પષ્ટપણે તેની જાણકારી આપવી ફરજિયાત છે. પરંતુ અમદાવાદની 90% હોટલો આ નિયમનો ભંગ કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આશરે 1500 કિલો નકલી પનીર ઝડપ્યું છે, પરંતુ આ જથ્થો તો માત્ર ‘હિમશીલાની ટોચ’ સમાન છે. મોટાભાગનો જથ્થો અધિકારીઓની મિલીભગત અથવા અપૂરતા ચેકિંગને કારણે સીધો ગ્રાહકોની થાળી સુધી પહોંચી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments