ભારતીય રેલવેએ મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક, સ્વચ્છ અને યાદગાર બનાવવા માટે એક ઐતિહાસિક સુધારાની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લાંબા અંતરની ટ્રેનોમાં સ્વચ્છતાના ધોરણોને ઉંચા લાવવા માટે હવે પરંપરાગત રીતોને બદલે વ્યાવસાયિક અને ટેકનોલોજીથી સજ્જ ટીમોનો ઉપયોગ કરવામાં આવશે.
નવા સુધારા મુજબ, ટ્રેનોમાં સફાઈ માટે ખાસ તાલીમ પામેલા કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી ‘ક્લીન ટ્રેન સ્ટેશન’ યોજના હેઠળ માત્ર નિયુક્ત સ્ટેશનો પર જ સફાઈ થતી હતી, પરંતુ હવે મુસાફરી દરમિયાન દર કલાકે અથવા જરૂરિયાત મુજબ સફાઈ કરવામાં આવશે. આમાં જનરલ ક્લાસ સહિતના તમામ કોચનો સમાવેશ થાય છે.
આ હાઈટેક સફાઈ વ્યવસ્થામાં નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવશે:
સંપૂર્ણ સફાઈ: કોચ, શૌચાલય અને બેસિનની સતત સફાઈ.

રિયલ-ટાઈમ મોનિટરિંગ: સફાઈની ગુણવત્તા તપાસવા માટે ખાસ મોનિટરિંગ રૂમ બનાવવામાં આવશે, જે ટેકનોલોજીની મદદથી કામગીરી પર નજર રાખશે.
નાના સમારકામ: મુસાફરી દરમિયાન પાણી ભરવાનું સંકલન અને સલામતી ઉપકરણોની ચકાસણી પણ આ ટીમ જ કરશે.
પ્રારંભિક તબક્કે, આ સુવિધા દેશની 80 મહત્વની લાંબા અંતરની ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો વ્યાપ વધારવામાં આવશે.
સફાઈની સાથે સાથે રેલવેએ પોતાની આવક અને માલવાહક ક્ષમતા વધારવા માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલય દ્વારા રેલવેની વધારાની અને વણવપરાયેલી જમીન પર વેરહાઉસ, ગ્રાઇન્ડીંગ યુનિટ અને પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. જે વેરહાઉસ હાલમાં ઓછા ઉપયોગમાં લેવાય છે, તેમને ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ તરીકે વિકસાવવામાં આવશે. પગલાથી રેલવેની માલવાહક કામગીરીમાં ગતિ આવશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. રેલવેનો આ દ્વિપક્ષીય અભિગમ એક તરફ મુસાફરોની સુવિધા અને બીજી તરફ માળખાગત વિકાસ ભારતીય રેલવેને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.


