બોલિવૂડના એનર્જેટિક સ્ટાર રણવીર સિંહ હવે પોતાના કરિયરમાં એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યા છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ બાદ તેઓ એવી જવાબદારી લેશે, જે તેમણે 16 વર્ષના અભિનય જીવનમાં ક્યારેય નથી લીધી.બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલ પોતાના કરિયરના ટોપ લેવલ પર છે. પોતાની અનોખી સ્ટાઈલ, એનર્જેટિક અભિનય અને બોક્સ ઓફિસ પર સતત સફળતા સાથે તેમણે પોતાને ઇન્ડસ્ટ્રીના ટોપના અભિનેતાઓમાં સ્થાન અપાવ્યું છે. તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ ધુરંધર એ માત્ર દર્શકોને જ નહીં, પરંતુ બોક્સ ઓફિસ પર પણ ધમાકેદાર સફળતા મેળવી છે.
‘ધુરંધર’ની મોટી સફળતા પછી તેની સિક્વલ ધુરંધર 2 ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થવાની તૈયારીમાં છે અને અપેક્ષા છે કે તે પહેલાની જેમ જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. આ ફિલ્મ પછી રણવીર એક નવા વિશ્યની ફિલ્મ પર કામ શરૂ કરશે.આ નવી ફિલ્મનું નામ પ્રલય છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ લગભગ ₹300 કરોડના ભવ્ય બજેટમાં બની રહી છે, જે તેને રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. પરંતુ આ ફિલ્મ ખાસ એટલા માટે નથી કે તેનો બજેટ મોટો છે, પરંતુ એટલા માટે કે રણવીર આ ફિલ્મમાં એક નહીં પરંતુ ડબલ રોલમાં જોવા મળી શકે છે.

‘પ્રલય’માં રણવીર સિંહ માત્ર મુખ્ય અભિનેતા તરીકે જ નહીં, પરંતુ સહ-નિર્માતા તરીકે પણ જોવા મળશે. પોતાના 2010ના અભિનય ડેબ્યૂ પછી પહેલી વાર તેઓ કોઈ ફિલ્મ માટે પ્રોડ્યુસરની જવાબદારી સંભાળશે. આ રીતે, તેમના 16 વર્ષના કરિયરમાં આ એક મોટું અને સાહસિક પગલું ગણાય છે.આ ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરશે, જે જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતા ના પુત્ર છે. નિર્માણની જવાબદારી રણવીર સિંહ સાથે સમીર નાયર અને હંસલ મહેતા સંભાળશે. ફિલ્મ રણવીરના પ્રોડક્શન હાઉસ ‘મા કસમ ફિલ્મ્સ’ હેઠળ બનાવાશે.
ઉલ્લેખનીય છે કે રણવીરે ડોન 3 જેવી મોટી ફિલ્મ છોડી હોવા છતાં, ‘પ્રલય’ સાથે તેઓ બોક્સ ઓફિસ પર ફરી એક વખત ધમાકો કરવા તૈયાર છે. ‘ધુરંધર 2’ બાદ એપ્રિલ મહિનાથી ‘પ્રલય’નું શૂટિંગ શરૂ થવાની સંભાવના છે.


