રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, આજે (20મી માર્ચ) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

21થી 26 માર્ચ દરમિયાન હવામાન મુખ્યત્ત્વે શુષ્ક રહેશે, જોકે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. અમદાવાદમાં આજે આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટની ગતિએ પવન ફૂંકાશે અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ એકાદ-બે જગ્યાએ વરસાદની સંભાવના છે. વાતાવરણમાં આ ફેરફાર મુખ્યત્વે ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હરિયાણા પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે જોવા મળી રહ્યો છે.


